રાઈપુર: છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, તમામ પાર્ટી સત્તામાં આવવા માટે સંપૂર્ણપણે જોર લગાવી રહી છે ત્યારે હવે એવી જાણકારી આવી રહી છે કે રાજ્યમાં 24 નેતાઓને સીઆરપીએફની સુરક્ષા આપવામાં આવી છે.
ઈલેક્શન કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં 7 નવેમ્બર અને 17 નવેમ્બર એમ બે ફેઝમાં મતદાન પ્રક્રિયા થશે અને 3 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીના પુત્ર અમિત જોગી સહિત રાજ્યના 24 નેતાઓને અસ્થાયી ધોરણે કેન્દ્રીય સુરક્ષા કવચ પ્રદાન કર્યું છે. ગૃહ મંત્રાલયે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ને અમિત જોગીને ‘Z’ કેટેગરીની સુરક્ષા અને 23 અન્ય નેતાઓને ‘X’ શ્રેણીની સુરક્ષા આપવાનો આદેશ આપ્યો છે. મળતી માહિતી મુજબ, આ નેતાઓને આ વર્ષના ડિસેમ્બરના અંત સુધી ચૂંટણી રાજ્ય છત્તીસગઢમાં સુરક્ષા પૂરી પાડવામાં આવશે.
છત્તીસગઢમાં યોજાયેલી 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 90માંથી 68 બેઠકો જીતીને રાજ્યમાં ભૂપેશ બઘેલની સરકાર બનાવી હતી. જ્યારે ભાજપને માત્ર 15 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીની પાર્ટી જનતા કોંગ્રેસ છત્તીસગઢ (જે)એ 5 બેઠકો અને બસપાએ 2 બેઠકો જીતી હતી.
આ વર્ષે એટલે કે 2023માં રાજ્યમાં કુલ મતદારોની સંખ્યા 2 કરોડ 3 લાખ 60 હજાર 240 છે. જેમાં પુરૂષો કરતા મહિલા મતદારોની ભાગીદારી વધુ છે. છત્તીસગઢમાં 2023માં 1 કરોડ 2 લાખ 39 હજાર 410 મહિલા મતદારો છે જ્યારે પુરૂષ મતદારોની સંખ્યા 1 કરોડ 1 લાખ 20 હજાર 830 છે. 2018માં મતદારોની સંખ્યા 1 કરોડ 85 લાખ 88 હજાર 520 હતી. તે દરમિયાન મહિલાઓ કરતા પુરૂષ મતદારોની સંખ્યા વધુ હતી.