
અમદાવાદના શહેરીજનો મ્યુનિ.ના સિવિક સેન્ટરો, ઝોનલ કચેરીએ રાષ્ટ્રધ્વજ પરત જમા કરાવી શકશે
અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતભરમાં 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન “હર ઘર તિરંગા”અભિયાનનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત અમદાવાદ શહેરનાં નાગરિકોએ પોતાના ઘર, વાહન અથવા ધંધાના સ્થળે તિરંગા લગાવ્યા હતાં. મંગળવારથી રાષ્ટ્રધ્વજ ઉતારી લઈ રાષ્ટ્ર ધ્વજને “code of flag” મુજબ તેનું માન સન્માન જળવાય તે રીતે રાખવાનો રહે છે. પરંતુ જો કોઈ નાગરિકો આ રાષ્ટ્ર ધ્વજની જાળવણી કરવામાં મુશ્કેલી જણાતી હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નજીકના સિટી સિવિક સેન્ટર,વોર્ડ ઓફીસ, ઝોનલ ઓફીસનો સંપર્ક કરીને તે રાષ્ટ્રધ્વજને જમા કરાવી શકશે.
સૂત્રોના જણાવ્યા મુજબ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરમાં 12 લાખથી વધુ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતુ. અને દરેક ઘર, ઓફિસો કે ઝૂંપડુ હોય ત્યાં રાષ્ટ્ર ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. 15 મી ઓગસ્ટ પૂર્ણ થયા બાદ રાષ્ટ્રધ્વજને માનભેર ઉતારી અને લોકોને ઘરમાં રાખવા માટે સુચના આપવામાં આવી હતી. પરંતુ જો કોઈ વ્યક્તિ રાષ્ટ્રધ્વજ સાચવી ન શકે તો રાષ્ટ્રધ્વજને પરત જમા કરાવી શકશે. જેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વોર્ડ અને ઝોનલ ઓફિસોમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આજે બુધવારથી ઓફીસના કામકાજ સમય દરમિયાન રાષ્ટ્રધ્વજ જમા કરાવી શકશે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, અમદાવાદ શહેરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તમામ ઘરો પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યા હતા. 15મી ઓગસ્ટના સાંજના સમયે જ નાગરિકોએ પોતાના ઘરમાં લગાવેલા રાષ્ટ્રધ્વજને માનભેર ઉતારી લીધા છે. હવે રાષ્ટ્રધ્વજ લોકો સાચવી ન શકે તો મ્યુનિના સિવિક સેન્ટરો, વોર્ડ ઓફિસ તેમજ ઝોનલ કચેરી જઈને જમા કરાવી શકે છે. શહેરમાં 12 લાખથી વધુ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાયું હતું. દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થતા આઝાદી કા અમૃત મહોત્સવની ઊજવણી કરવામાં આવી હતી 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વ નિમિતે અમદાવાદ દેશભકિતના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. વહેલી સવારથી જ દરેક વિસ્તારમાં આવેલા ફ્લેટો સોસાયટીઓમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા. નાના બાળકોએ હાથમાં તિરંગા લઈને દેશભક્તિના ગીતો સાથે ઉજવણી કરી હતી.