Site icon Revoi.in

ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જર્જરિત મકાનોને સ્થાને નવા મકાનો બાંધી આપવાની વિચારણા

Social Share

અમદાવાદઃ અમદાવાદ સહિત તમામ મહાનગરોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતો આવેલી છે. જેમાં ઘણાબધી મકાનો જર્જરિત થઈ ગયા છે. અને આવા મકાનોને રિડેવલપની જરૂર છે. ત્યારે હવે હાઉસિંગ બોર્ડ દ્વારા  જર્જરિત મકાનોના સ્થાને નવા મકાનો ભાંધી આપવાની વિચારણા ચાલી રહી છે, એટલે કે હાઉસિંગ બોર્ડના વર્ષા જુના મકાનોના રહિશોને  તેમના નામે જ નવા મકાનો મળશે,  હાઉસિંગ બોર્ડે બનાવેલા મકાનમાં રહેતા લોકો ટૂંક સમયમાં નવા મકાનના માલિક બની શકે છે.  હાઉસિંગ બોર્ડના વસાહતોમાં વિશાળ જગ્યાઓ છે, અને બે કે ત્રણ માળિયા મકાનો છે. તેના સ્થાને હાઈરાઈઝ બિલ્ડિંગો બનાવવામાં આવશે.

ગુજરાત હાઉસિંગ બોર્ડના વર્ષો જુનો મકાનોમાં રહેતા રહીશો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. એક તરફ મકાનો જર્જરિત બની રહ્યાં છે, અને તેમના રિડેલપમેન્ટ અંગે અનેક અડચણો છે. ત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડના જૂના મકાનોને નવા બનાવવા સરકાર દ્વારા યોજના તો લાવાવામાં આવી છે, પરંતું તેનો અમલ થતો નથી. બીજી તરફ, કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ યોજાઓમાં જે લોકોને મકાન ફાળવાય છે, તે લોકો આ મકાનના માલિક બનતા નથી, માત્ર કબજેદાર ગણાય છે. આવામાં હવે ગુજરાત હાઉસિંગ બોર્ડ ટૂંક સમયમાં જ એક મોટો નિર્ણય લે એવી હિલચાલ દેખાઈ રહી છે.  હાઉસિંગ બોર્ડના આ નિર્ણયનો ફાયદો અનેક રહીશોને મળશે. હાઉસિંગ બોર્ડના  મકાનો જૂના છે અથવા ભવિષ્યમાં જેમને મકાન મળશે તે તમામ રહીશોને આ નિર્ણયથી મોટો ફાયદો થશે. હાઉસિંગ બોર્ડે બનાવેલા મકાનમાં રહેતા લોકો ટૂંક સમયમાં નવા મકાનના માલિક બની જાય એવી સંભાવના સેવાઈ રહી છે. સાથે જ તેઓને જલ્દી જ તેમની જર્જરિત ઈમારતોની સામે નવી ઈમારતો મળી રહે તેનું પણ આયોજન ચાલી રહ્યું છે.

ગુજરાતમાં મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નવા મકાનોનું બાંધકામ સમયાંતરે ચાલતું રહ્યું છે. જોકે, ગુજરાત હાઉસિંગ સોસાયટીની અનેક ઈમારતો જૂની થઈ ગઈ છે, જેના બાંધકામ માટે લાંબા સમયથી હિલચાલ થઈ રહી છે. હાઉસિંગ બોર્ડના મકાનોના રિડેવલપમેન્ટ માટે કેટલાક નિયમો પણ લાગુ કરાયા છે.  થોડા સમય પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસિંગ બોર્ડના જુના મકાનોનું રિ-ડેવલપમેન્ટ ઝડપથી થઈ શકે તે હેતુસર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા હતા. આ નિર્ણયો થવાથી આવા મકાનોના રહેણાંકના માલિકી હક્ક અને દસ્તાવેજના થતા પ્રશ્નો નિવારી શકાશે. માલિકી હક્ક પ્રસ્થાપિત નહીં થવાને કારણે ફ્લેટ પ્રકારના મકાનોમાં રિ-ડેવલપમેન્ટ પોલિસીના અમલમાં આવતું વિઘ્ન પણ દૂર થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અનેક હાઉસિંગ બોર્ડના મકાનોનું રિડેવપલમેન્ટ શક્ય નથી તેના અનેક કારણો છે. પરંતું મોટું કારણ એ છે કે, મોટાભાગના આવાસ ઝૂંપડપટ્ટી તેમજ ગીચ વિસ્તારમાં છે. ઘણા આવાસની આસપાસ રોડ નવ મીટરના સાંકડાં હોવાથી બિલ્ડરને FSI (ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ) પણ ઓછી મળતી હોવાથી ઊંચી ઇમારતો બનાવી શકતા નથી. તો કેટલાક વિસ્તારમાં બિલ્ડરોને ધારેલી કિંમત મળતી નથી. જેના કારણે આવા આવાસોની કિંમત પોઝિટિવ ભરવાના બદલે નેગેટિવ એટલે કે માઇનસમાં ટેન્ડર ભરતા હોય છે. આવી પરિસ્થિતિમાં સરકારે બિલ્ડરને રોકડા નહીં બલ્કે તબદીલીપાત્ર વિકાસના હક્કો (TDR સર્ટીફીકેટ) ચૂકવવા પડે. આમ, સરકારને સરવાળે આર્થિક નુકસાન જાય છે. ઉપરથી રહેવાસીને ફ્લેટના માલિકી હક નહીં હોવાથી ફ્લેટ પ્રત્યે પોતાપણું નથી રાખતા. જેથી ફ્લેટ જર્જરિત બનતા જઈ રહ્યા છે.  હાઉસિંગ બોર્ડના મકાનોના રિડેવલપમેન્ટમાં સરકારને મોટું નુકસાન જાય એમ છે. તેથી જ હવે સરકાર આ અંગે મોટા નિર્ણયો લઈ ફ્લેટના માલિકી હક આપવાનું વિચારી રહી છે.

 

Exit mobile version