
રાજકોટમાં કોરોનાના કેસ ઓછા થયા, મનપા બુથ-રથ ઘટાડશે
- રાજકોટમાં કોરોનાના કેસ ઓછા થયા
- મનપાએ લીધો નિર્ણય
- સમરસ કોવીડ સેન્ટર બંધ કરવા કલેકટરે સૂચના આપી
રાજકોટ: દેશમાં કોરોનાવાયરસના કેસ ઓછા થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ગુજરાતમાં પણ કોરોનાવાયરસના કેસ ઓછા આવી રહ્યા છે અને રાજકોટ શહેરમાં પણ કોરોનાવાયરસના કેસ ઓછા નોંધાતા મનપા દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.
જાણકારી અનુસાર રાજકોટ શહેરમાં પણ હવે કોરોના સંક્રમણ નીચે ઉતરી ગયું છે. કેસ ઘટતા સપ્તાહથી ટેસ્ટીંગ બુથ સહિતની સેવાઓમાં ઘટાડો કરવામાં આવશે અને હવે સમરસમાં ઉભું કરવામાં આવેલું કોવીડ સેન્ટર બંધ કરવા કલેકટર સૂચના પણ આપી છે તેવું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
હાલ સાત જગ્યાએ રહેલા કોરોના ટેસ્ટીંગ બુથમાં લોકોની મુલાકાત ખુબ ઘટી ગઇ છે. બુથ પર થતા ટેસ્ટીંગ ખુબ ઓછા થઇ ગયા છે. આથી તા.1પથી મોટા ભાગે બુથ બંધ કરવામાં આવશે. તો જુદા જુદા વિસ્તારમાં ફરતા મનપાના આરોગ્ય રથોની સંખ્યા પણ ઘટાડવામાં આવશે. જોકે તમામ આરોગ્ય કેન્દ્રો પર તમામ પ્રકારની આરોગ્યલક્ષી કામગીરી ચાલુ રહેશે.
જો કે કોરોનાને લઈને થોડા સમય પહેલા જ WHO દ્વારા સૂચના આપવામાં આવી છે કે કોરોનાવાયરસના કેસ ઓછા થઈ રહ્યા છે તે સારી વાત છે પરંતુ લોકોએ બેદરકારી દાખવવી જોઈએ નહી.