
કોરોના મહામારી કારણે શિક્ષણને અસર, લાખો વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત
દિલ્હીઃ કોરોના મહામારીને પગલે આપવામાં આવેલા લોકડાઉનમાં રોજગારીની શોધમાં અન્ય રાજ્યોમાં ગયેલા શ્રમિકો અને નોકરિયાતો પરત પોતોના વતન ફર્યાં હતા. જેના કારણે તેમના સંતાનોના શિક્ષણને અસર થઈ છે. કોરોનાકાળ બાદ ગુજરાત સહિતના રાજયોમાં શિક્ષણ કાર્ય તબકકાવાર શરૂ કરવામાં આવ્યુ છે. તેમ છતાં દેશમાં હજારો-લાખો બાળકો હજુ શિક્ષણથી વંચિત રહી ગયા હોવાનો શિક્ષણ વિભાગને રીપોર્ટ સંસદીય પેનલને સોંપવામાં આવ્યો છે.
શિક્ષણ મંત્રાલયના રીપોર્ટમાં જણાવ્યા અનુસાર નોકરી કે મજુરી માટે પરપ્રાંતમાંથી આવેલા હજારો લોકોએ હિજરત કરી હતી. તેઓના બાળકોએ ફરી વખત સ્કુલ પ્રવેશ કર્યો નથી. મધ્યપ્રદેશમાં આવા બાળકોની સંખ્યા 2,06,417ની છે તેમાંથી માત્ર 81563 બાળકોએ સ્કુલોમાં ફરી પ્રવેશ મેળવ્યો છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં હિજરત કરી ગયેલા 3868ર બાળકો, બિહારના 58256 તથા કર્ણાટકમાં 28901 શિક્ષણથી વંચિત છે. ઝારખંડમાં 32980, કેરળમાં 10969 તથા રાજસ્થાનમાં 57265 બાળકોની આવી સ્થિતિ છે. જો કે, દિલ્હીમાં રાજય સરકારે તમામ 103 હિજરતી બાળકોને શોધીને ફરી વખત સ્કુલમાં પ્રવેશ કરાવ્યો છે. ઓડિસામાં પણ 5654 બાળકોને શોધીને શાળાએ મોકલ્યા છે. ગુજરાતમાં 284 બાળકોની ઓળખ કરીને તેમાંથી 250ને સ્કુલ પ્રવેશ કરાવ્યો છે.