
બીસીસીઆઈની બેઠકમાં લેવાયો નિર્ણયઃ-આઈપીએલની બાકીની મેચ હવે યૂએઈ ખાતે રમાશેઃ-
- બીસીસીઆઈની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય
- આઈપીએલની બાકી રહેલી મેચ યૂએઈ ખાતે રમાશે
દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર તીવ્ર બની છે જેની અસર મનોરંજન જગતથી લઈને રમગ ગમત જગત પર પડેલી જોવા મળી રહી છે,ત્યારે હવે ઈન્ડિયન પ્રીમિયર લીગના ચાહકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે.
બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયાની સ્પેશિયલ જનરલ એસેમ્બલી (એસજીએમ) માં એક ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે, જે પ્રમાણે આઈપીએલ -2021 ની બાકીની મેચ સંયુક્ત આરબ અમીરાત ખાતે યોજાશે. બીસીસીઆઈના વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લાએ આ અંગે માહિતી આપી હતી.
મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે બીસીસીઆઈએ આજે બપોરે 12 વાગ્યે વિશેષ સામાન્ય સભા બોલાવી હતી. આ માટે બોર્ડ પ્રમુખ સૌરવ ગાંગુલી શુક્રવારે રાત્રે કોલકાતાથી મુંબઇ આવી પહોંચ્યા હતા. આ બેઠકમાં, યુએઈમાં આઈપીએલ 2021 ની બાકીની મેચ યોજવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. બીસીસીઆઈની બેઠક બાદ બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ આ મામલે માહિતી આપી હતી.
આ સમગ્ર બાબતે એવું કહેવામાં આવી રહ્યું છે કે બીસીસીઆઈએ પણ આ નિર્ણય એટલા માટે લીધો છે, કારણ કે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ભારતમાં સામાન્ય રીતે હવામાન ખરાબ રહે છે. ઉલ્લેખનીય છે કે, બાય બબલમાં ઘણા ખેલાડીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યા બાદ 4 મેના રોજ બોર્ડે ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝન અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી હતી. ત્યાર બાદ હવે ફરીથી મેચ રમાવાના સમાચાર સામે આવતા ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે