વર્લ્ડકપ ફાઈનલ મેચને લીધે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના વિસ્તારોમાં મ્યુનિ. દ્વારા દર બે કલાકે કરાશે સફાઈ
અમદાવાદઃ વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ફાઇનલ મેચને લઈને એએમસી દ્વારા પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ અને તમામ રૂટ, પાર્કિગ પ્લોટ અને મોબાઈટ ટોયલેટ સહિતની જગ્યાઓ પર ખાસ સફાઈ કરવામાં આવશે. તા.17 થી 20 નવેમ્બર સુધી ચાર ઝોનમાંથી 25 સફાઈ કામદારો મળી 100 જેટલા સફાઈ કામદારોની ટીમમાં કામગીરી કરશે. મેચ પૂર્ણ થયા બાદ પણ રાતે 1 વાગ્યાથી ખાસ રાત્રિ સફાઈ કરવામાં આવશે. સ્ટેડિયમના રૂટ અને આસપાસના વિસ્તારમાંથી જો કોઈ ખાણીપીણીની દુકાન કે હોટેલ્સ દ્વારા બહાર રોડ ઉપર કચરો ફેંક્યો હોય તો તેમની પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવશે. આ વિસ્તારમાંથી દર બે કલાકે કચરો ઉપાડી લેવામાં આવશે.અને સફાઈ કામના નિરીક્ષણ માટે ખાસ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે.
એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાઈનલ મેચને લીધે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જળવાય તેમજ રૂટ ઉપર તમામ પ્રકારની ખામી ના રહે તેને ધ્યાનમાં રાખી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સ્ટેડિયમ અને હોટલની આસપાસના વીઆઈપી, વીવીઆઈપી રસ્તાઓની સાફ- સફાઈ કરાશે. જેનું રાઉન્ડ ધી ક્લોક મોનીટરીંગ કરવા સૂચના આપવામાં આવી છે. સ્ટેડિયમના રૂટમાં આવતા તમામ રસ્તાઓનો ડીવાઈડરો અને ફૂટપાથ સાઈડની મિકેનાઇઝ્ડ સ્વીપર મશીનથી સ્વચ્છ કરી માટી દૂર કરાવવા, ઝોનના એસ્ટેટ વિભાગને સાથે રાખી મુખ્ય માર્ગો પરના પાર્કિંગ દૂર કરાવી તેવી જગ્યાઓને સફાઈ કરી સ્વચ્છ રાખવા સુચના આપવામાં આવી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતાં તમામ રસ્તાઓ પર પડેલા ડેબ્રીસ-ગ્રીન વેસ્ટ કે કચરાના ઢગલા પડી ન રહે તે માટે વાહનોને રાઉન્ડ ધી ક્લોક ફરતા રાખવામાં આવશે. સફાઈ કામદારો દ્વારા મેન્યુઅલ સફાઈ કામગીરી રીફ્લેક્ટર જેકેટ પહેરીને જ કરવામાં આવે તેમજ ફાળવવામાં આવેલી ઈ-રિક્ષા સતત ફરતી રાખી જાહેર માર્ગો ઉપર જો કોઈ લિટરિંગ થાય અને ડીવાઇડર, ફૂટપાથ પર એંઠવાડ, ફૂડ વેસ્ટ અથવા અન્ય વેસ્ટ જણાઈ આવે તો તે તાત્કાલીક ઉપડાવી લેવા સુચના આપવામાં આવી છે. તમામ વીઆઈપી, વીવીઆઈપી રસ્તાઓ તથા સ્ટેડિયમની આસપાસના તમામ માર્ગો પર જે કોઈ જંગલી ઘાસ કે અન્ય બિનજરૂરી વેજીટેશન ઉગેલ હોય, ગાર્ડન વેસ્ટ વગેરેનો નિકાલ કરાવવામાં આવી રહ્યો છે. પાર્કિંગ પ્લોટોમાં પણ ધૂળ કે માટી ઉડે નહીં તે માટે ટેન્કરોથી પાણીના છંટકાવની કામગીરી કરાવવામાં આવશે.