- સૌ પ્રથમવાર સેવા કેમ્પો પરથી દિવસમાં બે વાર ભીનો કચરો એકત્ર કરાશે,
- અંબાજીથી પાલનપુર ધણીયાણા ચોકડી સુધી કચરાનું વહન કરાશે,
- સફાઈ માટે 150 ℅ વધારાના ટ્રેકટરો અને પાંચ ઝોન દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરાશે
અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં માતાજીના દર્શન માટે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડતા હોય છે. જેમાં દુર દુરથી પગપાળા સંઘો સાથે પદયાત્રીઓ અંબાજી પહોંચતા હોય છે. પદયાત્રીઓ માટે રોડ પર ઠેર ઠેર સેવા કેમ્પો ઊભા કરવામાં આવતા હોય છે. પદયાત્રીઓને ચા-પાણી અને ભોજન તેમજ ગરમ પાણી સહિતની સુવિધાઓ આપવામાં આવતી હોય છે. સેવા કેમ્પોમાં હજારોની સંખ્યામાં યાત્રિકો ભોજન લેતા હોવાથી ભાજનની ખાલી ડીશ અને એઠવાડ સહિતના કચરાના નિકાલનો મોટો પ્રશ્ન હોય છે ત્યારે આ વખતે તંત્ર દ્વારા તમામ સેવા કેમ્પો પરથી દિવસમાં બેવાર ભીનો કચરો એકત્ર કરીને લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાશે. જેમાં સૌ પ્રથમવાર સેવા કેમ્પો પરથી દિવસમાં બે વાર ભીનો કચરો એકત્ર કરી તેનું પ્રોસેસિંગ અને ખાતર બનાવવામાં આવશે. ઓર્ગેનિક ફૂડ વેસ્ટનો નિકાલ કરવામાં આવશે. તેમજ અંબાજીથી પાલનપુર ધણીયાણા ચોકડી સુધી કચરાનું વહન કરવામાં આવશે. સફાઈ માટે 150 ℅ વધારાના ટ્રેકટરો અને પાંચ ઝોન દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામા આવશે. જેના આયોજન માટે વહિવટી તંત્ર દ્વારા સેવા કેમ્પના આયોજકો સાથે બેઠક યોજાઇ હતી. અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સેવા કેમ્પોના આયોજકો સાથે બેઠક યોજાઈ હતી.
આ અંગે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતુ કે, સૌ પ્રથમવાર સેવા કેમ્પો પરથી દિવસમાં બે વાર ભીનો કચરો એકત્ર કરી તેનું પ્રોસેસિંગ અને ખાતર બનાવવામાં આવશે. ઓર્ગેનિક ફૂડ વેસ્ટનો નિકાલ કરવામાં આવશે.સ્વચ્છતા એ જ સેવા સૂત્રને ચરિતાર્થ કરવા માટે ખાસ ભાર મૂકવામાં આવશે. કચરાના નિકાલ માટે ટ્રેક્ટરની સંખ્યા વધારાશે. ફૂડ વેસ્ટ માટે અલગ વ્યવસ્થા ઊભી કરાશે. યાત્રિકોના વિસામાની સંખ્યામાં પણ વધારો કરાશે. ટ્રાફિક વ્યવસ્થાને લઈને પણ ખાસ આયોજન કરાશે. જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેએ જણાવ્યું હતુ કે, મેળા પૂર્વે અંબાજી શહેરમાં સ્વચ્છતાની ડ્રાઇવ હાથ ધરાશે. દરેક ટ્રેક્ટરમાં સફાઈ કર્મીઓ ફરજ બજાવશે.
અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ પ્રેઝન્ટેશન રજૂ કર્યું. તેમણે જણાવ્યું કે, પદયાત્રીઓ માટે વધુ પ્રસાદ કેન્દ્રો ઊભા કરાશે. મેળા દરમિયાન સીસીટીવી કેમેરા, એલઈડી લાઈવ કવરેજ, પાર્કિંગ, લાઇટિંગ, આરોગ્ય, ઈ-રિક્ષા, પાણી, વિનામૂલ્યે ભોજન અને લગેજ-પગરખાં કેન્દ્રો ઊભા કરાશે. 1500 થી વધુ સફાઈ કામદારો સતત ફરજ બજાવશે. સેવા કેમ્પની નોંધણી માટે ઓનલાઇન પોર્ટલ કાર્યરત રહેશે. તમામ મંજૂરીઓ સરળતાથી મળી રહે તે માટે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કામગીરી થશે. રોડની ડાબી બાજુએ સેવા કેમ્પ લગાવાશે. સ્વયંસેવકોની નોંધણી અને આઈડેન્ટિટી કાર્ડ ફરજિયાત રહેશે.