Site icon Revoi.in

આર્થિક ગુના નિવારણ શાખાએ ફ્રોડના ત્રણ કેસમાં આરોપીઓને ઝડપી લીધા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આર્થિક ફ્રોડના બનાવો વધતા જાય છે. આર્થિક ગુના નિવારણ શાખાએ જુદા જુદા ત્રણ કેસમાં આરોપીઓને ઝડપી લીધા છે. જેમાં અમદાવાદમાં બે શખસોએ સાથે મળીને ઓફિસબોયના નામે જુદા-જુદા બેંક એકાઉન્ટ ખોલાવી કંપનીઓ રજીસ્ટર્ડ કરાવી 4.28 કરોડ રૂપિયાની લોન લઇ લીધી હતી. જ્યારે બીજા એક કેસમાં અમદાવાદના ફાર્મા મટિરિયલને વેપારીને 8.45 કરોડનો ચુનો લગાવનાર સુરતની ગેંગના એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત અમદાવાદના વેપારીને 3.21 કરોડનો ચુનો લગાવનારા અગ્રવાલ બંધુઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે કુલ 15.84 કરોના કૌભાંડના આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રથમ કેસની વિગત એવી છે કે, અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા એક શ્રમજીવીને ઓફિસબોય તરીકે નોકરીએ રાખી તેના નામે કંપનીઓ રજિસ્ટર્ડ કરાવીને તેના નામે જુદી જુદી બેન્કોમાંથી  4.28 કરોડની લોન લઇ તેમજ 11 ક્રેડીટ કાર્ડ સ્વાઇપ કરીને કૌભાંડના કેસમાં  વિશાલ વોરા અને રાહુલ શર્માને અમદાવાદ ક્રાઇમબ્રાંચના આર્થિક ગુના નિવારણ શાખાના ઇન્સ્પેકટર શિલ્પા ચૌધીની ટીમે ઝડપી લીધા હતા.

જ્યારે બીજા એક કેસમાં  અમદાવદમાં રહેતા અને ચાંગોદરમાં ફાર્મા રો-મટિરિયલનો ધંધો કરતા સાગર દેસાઇ સાથે સંપર્ક કેળવી તેની પાસેથી પ્રિઝમ એલાયન્સ પ્રા. લી.ના ડિરેક્ટરોએ રૂપિયા 8.54 કરોડનું મટિરિયલ ઉધારમાં લઇને વેપારીને ચુનો લગાવ્યો હતો. આ પ્રકરણની તપાસ કરી રહેલા પોલીસ ઇન્સપેક્ટર જે.કે ડાંગરે કૌભાંડી વિકાસ ગજાનંદ શર્માને ઝડપી લીધો હતો

આ ઉપરાંત ત્રીજા કેસમાં અમદાવાદની શિવશક્તિ સ્ટીલ પ્રા. લિ.ના મિતેષ વિરેન્દ્રભાઇ દવેને ગાંધીધામની કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સંજય અગ્રવાલ અને સચીન અગ્રવાલે મેટકોકના જથ્થાનો બારોબાર વેપલો કરી 3.21 કરોડની ઠગાઇ કરી હતી. જે અંગેની ફરિયાદને આધારે પોલીસ ઇન્સ્પેકટર ધુળિયાની ટીમે અગ્રવાલ બંધુઓને ઝડપી લઇ વધુ તપાસ આદરી છે.