અનિલ અંબાણી વિરુદ્ધ EDની મોટી કાર્યવાહી, મુંબઈના ઘર સહિત મિલકતો જપ્ત
મુંબઈ, 25 ફેબ્રુઆરી, 2026: Anil Ambani ઉદ્યોગપતિ અનિલ અંબાણીના મુંબઈ સ્થિત ઘરને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કામચલાઉ ધોરણે જપ્ત (Attach) કરવામાં આવ્યું છે. ED ના સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘરની કિંમત અંદાજે 3,716 કરોડ રૂપિયા હોવાનું મનાય છે. EDના જણાવ્યા મુજબ, અનિલ અંબાણી અને તેમની ગ્રુપ કંપનીઓ વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ 15,000 કરોડ રૂપિયાથી વધુની જપ્તીની કાર્યવાહી કરવામાં આવી છે.
આ કાર્યવાહી પહેલા બોમ્બે હાઈકોર્ટે ઉદ્યોગપતિ અનિલ અંબાણીને મોટો ઝટકો આપતા સિંગલ બેંચના તે વચગાળાના આદેશને સોમવારે રદ કરી દીધો હતો, જેમાં તેમના અને રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડના બેંક ખાતાઓને “ફ્રોડ” તરીકે વર્ગીકૃત કરવાની કાર્યવાહી પર સ્ટે મૂકવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ OMG! બીએસએનએલના અધિકારીએ સત્તાવાર મુલાકાત માટે ટુવાલ અને અંડર ગારમેન્ટની વ્યવસ્થા કરવા સૂચના આપી?
મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખર અને ન્યાયમૂર્તિ ગૌતમ અણખડની ખંડપીઠે જાહેર ક્ષેત્રની ત્રણ બેંકો અને એકાઉન્ટિંગ કન્સલ્ટિંગ કંપની BDO ઈન્ડિયા LLPની અપીલ સ્વીકારી આ નિર્ણય સંભળાવ્યો હતો. આ અપીલ ડિસેમ્બર 2025માં સિંગલ બેંચ દ્વારા પસાર કરાયેલા વચગાળાના આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી. ખંડપીઠે સિંગલ બેંચના આદેશને રદ કરતા તેને ગેરકાયદે અને વિકૃત ગણાવ્યો હતો. અનિલ અંબાણીના વકીલોએ હાઈકોર્ટને આ આદેશ પર સ્ટે લગાવવા વિનંતી કરી હતી જેથી તેઓ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે, પરંતુ અદાલતે આ માંગ ફગાવી દીધી હતી.
અંબાણી અને તેમની કંપનીને વચગાળાની રાહત આપતા ડિસેમ્બર 2025 ના આદેશને ત્રણેય બેંકોએ ગયા મહિને પડકાર્યો હતો. તે આદેશમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ફરજિયાત નિયમોના ઉલ્લંઘનનો હવાલો આપીને કહેવામાં આવ્યું હતું કે બેંકો વર્ષો પછી ગાઢ નિંદ્રામાંથી જાગી છે.
સિંગલ બેંચે ઈન્ડિયન ઓવરસીઝ બેંક, IDBI બેંક અને બેંક ઓફ બરોડા દ્વારા લેવામાં આવેલી વર્તમાન અને ભાવિ કાર્યવાહી પર રોક લગાવતા કહ્યું હતું કે આ કાર્યવાહી કાયદેસર રીતે ખામીયુક્ત ‘ફોરેન્સિક ઓડિટ’ પર આધારિત છે અને RBI ની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરે છે. આ બેંકોએ પોતાની અપીલમાં જણાવ્યું હતું કે જે ‘ફોરેન્સિક ઓડિટ’ ના આધારે ખાતાઓને “ફ્રોડ” તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા, તે કાયદેસર રીતે માન્ય હતા અને તેમાં નાણાંની હેરાફેરી અને દુરુપયોગના ગંભીર પરિણામો સામે આવ્યા છે, જે BDO ઈન્ડિયા LLP દ્વારા રજૂ કરવામાં આવેલા અહેવાલમાં નોંધાયેલા છે.
આ પણ વાંચોઃ IIT ગાંધીનગરના સંશોધકોની સિદ્ધિઃ એન્ટિબાયોટિક-પ્રતિરોધક બેક્ટેરિયા વિરોધી અલ્ટ્રાસાઉન્ડ-સક્રિય અણુ વિકસાવ્યા
સાથે જ બેંકોએ કહ્યું કે અંબાણીએ સિંગલ બેંચ સમક્ષ ટેકનિકલ આધારો પર ‘ફોરેન્સિક ઓડિટ’ ને પડકાર્યું હતું. અનિલ અંબાણીએ સિંગલ બેંચ સમક્ષ ત્રણેય બેંકો દ્વારા જારી કરાયેલી કારણ દર્શાવો નોટિસને પડકારી હતી, જેમાં તેમના અને રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડના ખાતાઓને “ફ્રોડ એકાઉન્ટ” તરીકે વર્ગીકૃત કરવાનો પ્રસ્તાવ હતો.
વચગાળાની રાહત તરીકે તેમણે નોટિસ પર રોક અને કોઈપણ પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી પર પ્રતિબંધની માંગ કરી હતી. તેમનો તર્ક હતો કે BDO ઈન્ડિયા LLP ‘ફોરેન્સિક ઓડિટ’ કરવા માટે લાયક નથી કારણ કે રિપોર્ટ પર હસ્તાક્ષર કરનાર વ્યક્તિ ‘ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ’ નહોતા. અનિલ અંબાણીનો દાવો હતો કે BDO ઈન્ડિયા LLP એક એકાઉન્ટિંગ કન્સલ્ટન્સી કંપની છે, ઓડિટ કંપની નથી. સિંગલ બેંચે અંબાણીની દલીલો સાથે સહમત થઈને બેંકોની કાર્યવાહી પર રોક લગાવી હતી, જેને હવે ખંડપીઠે રદ કરી દીધી છે.


