1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના ફાયર બ્રિગેડના કર્મચારીઓ અધિકારીની મંજુરી વિના કોઈનેય માહિતી આપી શકશે નહીં
અમદાવાદના ફાયર બ્રિગેડના કર્મચારીઓ અધિકારીની મંજુરી વિના કોઈનેય માહિતી આપી શકશે નહીં

અમદાવાદના ફાયર બ્રિગેડના કર્મચારીઓ અધિકારીની મંજુરી વિના કોઈનેય માહિતી આપી શકશે નહીં

0
Social Share

અમદાવાદઃ શહેરમાં કોઈપણ આપત્તી કે આગ લાગવાની ઘટનામાં રાહત અને બચાવ કાર્ય માટે ફાયર બ્રિગેડની ભૂમિકા મહત્વની રહેતી હોય છે. ફાયર બ્રિગેડ  વિભાગના કન્ટ્રોલરૂમ પરથી પ્રેસ-મીડિયાના પ્રતિનિધિઓ તેમજ કોર્પોરેટરો અને કેટલાક નાગરિકો પણ શહેરમાં કોઈ ઘટના બની હોય તો માહિતી મેળવતા હોય છે.પણ કહેવાય છે. કે, ફાયર બ્રિગેડના અધિકારી દ્વારા કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે કે, કોઈપણ ફાયર બચાવ કે માનવસર્જિત કુદરતી આપત્તિનો રેસ્ક્યુ કોલ જ્યારે મળે ત્યારે ફાયર ઓફિસરની પૂર્વ મંજૂરી વિના કોઈપણ માહિતી પ્રેસ મીડિયા અથવા અન્ય લોકોને આપવી નહીં. ફાયરના અધિકારીના આવા આદેશ સામે વિરોધ ઊભો થયો છે. આ બાબતે વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણે જણાવ્યું કે, મીડિયા લોકોને માહિતી આપવાનું કામ કરે છે. શા માટે ફાયર વિભાગ દ્વારા તેના કર્મચારીઓને માહિતી ન આપવા અંગે સુચના આપવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિના વિપક્ષ કોંગ્રેસના નેતાએ વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં જ શાહીબાગમાં રાજસ્થાન હોસ્પિટલ અને ફ્લેટમાં લાગેલી આગ મામલે ફાયર વિભાગ દ્વારા માહિતી પૂરી પાડવામાં ન આવતા ફાયર વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા હતા. આ ફતવો બહાર પાડવા પાછળ જેમણે મુખ્ય ભૂમિકા ભજવી હોય તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી તાકીદે કરવા તેમજ તેમની સામે પગલાં ભરવા તેમજ હવેથી આગના કોલ, બચાવ કોલ તેમજ કુદરતી કે માનવસર્જિત આફતોના સમયે પ્રેસ મિડીયા તેમજ ચૂંટાયેલી પાંખને સમયસર વાકેફ કરવા બાબતે યોગ્ય વ્યવસ્થા તાકીદે ગોઠવવા કોંગ્રેસ પક્ષે માંગ કરી છે.

વિપક્ષી નેતાએ ઉમેર્યું હતું કે,  મીડિયા અને લોકો સુધી માહિતી ન આપવા મામલે ફતવો કોના ઇશારે, કોની મંજુરીથી બહાર પાડવામાં આવ્યો? આ સરમુખત્યારી ફતવો બહાર પાડવાના માટેના કારણો કયા કયા?, શું ફાયર વિભાગના અધિકારીઓ પોતાની નબળી કામગીરી છુપાવવા માંગે છે?  પ્રેસ મીડીયા આગના કોલ, બચાવ કોલ તેમજ કુદરતી કે માનવસર્જીત આફતો થવા બાબતે પ્રજાને માહીતગાર કરી જાગૃત કરવાનું કામ કરે છે અને સાચી હકીકત પ્રજાને જણાવે છે. લોકશાહીમાં પ્રેસ મીડીયા પર પ્રતિબંધ મુકવાથી શું લાભ થવાનો અને કોને થવાનો? તે તમામ બાબતો પર સવાલો ઉભા થયા છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમદાવાદમાં આગના કોલ, બચાવ કોલ તેમજ કુદરતી કે માનવસર્જિત આફતોના સમયે પણ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શાસક પક્ષના નેતા, દંડક તેમજ વિરોધપક્ષના નેતાને પણ કોઈ જાણકારી કરવામાં આવતી નથી. જે લોકશાહીના ભંગ સમાન છે. (File photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code