એક જ પરિવારના ગૌરવગાનની પરંપરાનો અંત: PM મોદી
લખનઉ, 25 ડિસેમ્બર 2025: Good Governance Day નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ ખાતે 230 કરોડના ખર્ચે નિર્મિત ભવ્ય ‘રાષ્ટ્ર પ્રેરણા સ્થળ’નું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતરત્ન અટલ બિહારી વાજપેયીના આદર્શોને સમર્પિત આ સ્થળ દેશની નવી પેઢી માટે દેશભક્તિ અને સુશાસનનું કેન્દ્ર બનશે. 65 એકરમાં ફેલાયેલા આ સંકુલમાં અટલ બિહારી વાજપેયી, શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની વિશાળ પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે.
ઉદ્ઘાટન બાદ જનસભાને સંબોધતા PM મોદીએ જણાવ્યું હતું કે, “આજની આ પવિત્ર ભૂમિ નવી પ્રેરણાની સાક્ષી બની રહી છે. આજે નાતાલની સાથે બે મહાન દેશભક્તો ભારતરત્ન અટલ બિહારી વાજપેયી અને મહામના મદન મોહન માલવીયાની જન્મજયંતીનો પવિત્ર અવસર છે. આ મહાપુરુષોની પ્રતિમાઓ જેટલી ઊંચી છે, તેનાથી અનેકગણી વધુ ઊંચી તેમના દ્વારા મળેલી પ્રેરણા છે.”
- સુશાસન અને વિકાસ: અટલજીના વારસાને નવો આયામ
વડાપ્રધાને અટલજીની સરકારના કાર્યોને યાદ કરતા કહ્યું કે, અટલજીએ જ દેશમાં સુશાસનનો પાયો નાખ્યો હતો. અટલજીના વિઝનને કારણે આજે ભારત વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક દેશ બન્યો છે, જેમાં ઉત્તર પ્રદેશ નંબર-1 પર છે. ગામડાઓ સુધી રસ્તા અને દિલ્હીમાં મેટ્રોની શરૂઆત અટલજીની જ દેન છે. ઓપરેશન સિંદૂરમાં જેની તાકાત દુનિયાએ જોઈ તે ‘બ્રહ્મોસ’ મિસાઈલ આજે લખનઉના ડિફેન્સ કોરિડોરમાં બની રહી છે.
PM મોદીએ અગાઉની સરકારો પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, દાયકાઓ સુધી દેશમાં માત્ર એક જ પરિવારનું ગૌરવગાન કરવાની અને તેમની જ મૂર્તિઓ લગાવવાની પ્રવૃત્તિ હાવી રહી હતી. ભાજપ સરકારે આ પરંપરા તોડીને દેશની સેવા કરનાર દરેક હસ્તીને સન્માન આપ્યું છે, પછી તે નેતાજી સુભાષચંદ્ર બોઝ હોય કે બાબાસાહેબ આંબેડકર.
PM એ શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાનને યાદ કરતા કહ્યું કે, તેમણે જમ્મુ-કાશ્મીર માટે જે સપનું જોયું હતું, તેને કલમ 370 હટાવીને ભાજપ સરકારે પૂરું કર્યું છે. આજે ‘મેડ ઇન ઇન્ડિયા’ સામાન વિશ્વભરમાં પહોંચી રહ્યો છે અને યુપીનું ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ અભિયાન રંગ લાવી રહ્યું છે.
આ પણ વાંચોઃ વડોદરા નેશનલ હાઈવે પર દાદી અને પૌત્રને કારએ અડફેટે લેતા બન્નેનાં મોત


