
જુનાગઢઃ રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર પંથકમાં વારંવાર વાતાવરણમાં આવેલો પલટો, અને ઝાકળ પડવાને લીધે કેરીના આંબા પર હજુ મોર બેઠા નથી એટલે કે ફુલ આવ્યા નથી. એટલે આ વર્ષે કેસર કેરીના ઉત્પાદનમાં ઘટાડો થવાની ખેડૂતો દહેશત વ્યક્ત કરી રહ્યા છે.
ગીરના તળાલા, ઊના તેમજ અમરેલીના ધારી સહિતના વિસ્તારોમાં આંબાવાડીઓ આવેલી છે. આ વિસ્તારોમાં વધારે ઠંડી અને વધુ પ્રમાણમાં ઝાકળ પડવાને લીધે કેરીના આંબોઓ પર હજુ ફુલ બેઠા નથી. શિયાળાની ઋતુ દરમિયાન 2થી 3 વાર ખરાબ વાતાવરણના કારણે ગીરની પ્રખ્યાત કેસર કેરીને નુકસાન થયુ છે. ઠંડીના કારણે આંબાના વૃક્ષો પર હજુ સુધી ફૂલ નથી આવ્યા. જૂનાગઢ જિલ્લા સહીત ગીર વિસ્તારના આંબાના બગીચામાં જોઈએ તેટલું ફ્લાવરિંગ ન થવાથી કેસર કેરીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળશે અને ભાવ પણ ઊંચા રહેશે તેવું ખેડૂતો માની રહ્યા છે.
ગીરની વિશ્વ વીખ્યાત કેસર કેરીને આ વર્ષે પણ ગ્રહણ લાગ્યું છે. ગત વર્ષે તોકતે વાવાઝોડાના લીધે કેસર કેરીને ભારે નુકસાન પહોંચ્યું હતું. તેની સાથે ખુબ મોટા પ્રમાણમાં વરસાદ પડતા આંબાના બગીચાને નુકશાન જોવા મળ્યું છે. જેના લીધે આ વર્ષે પણ ખુબ ઠંડી પાડવાના લીધે આંબામાં જેટલું ફ્લાવરીંગ થવું જોઈએ તેટલું થયું નથી. જેના લીધે નહિવત કેસર કેરીની આવક થશે. તલાળા ગામના ખેડૂત જે પોતે આંબા ની બાગાયત ખેતી કરે છે, તેમના 6 વીઘા જમીનમાં 80 આંબાના ઝાડ આવેલા છે. ત્યારે હાલ છેલ્લા 20 દિવસ ઠંડીનો પારો સતત નીચો રહેતા ફલાવરિંગ નહિવત થયું છે. જેની સીધી અસર કેરીના ઉત્પાદન જોવા મળશે.
અમરેલી અને ભાવનગર પંથકની આંબાવાડીઓમાં આંબાઓ પર ફુલ જોવા મળતા નથી. જો કે ગ્રામ્ય વિસ્તારની કેટલીક વાડીઓમાં આંબાઓ પર હજુ માત્ર મોર જોવા મળી રહ્યો છે. હવામાનમાં થઈ રહેલા સતત ફેરફાર અને કમોસમી વરસાદના કારણે કેરીનો ફાલ ઓછો ઉતરે એવી શક્યતા છે. વારંવાર થતા કમોસમી વરસાદના કારણે આંબા પરનો ફાલ ખરી પડતો હોવાથી કેરીની આવકમાં ઘટાડો થઈ શકે છે.