નવી દિલ્હીઃ નવી દિલ્હીએ જણાવ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે, અને ચીનના ઇનકારથી આ સત્ય બદલાશે નહીં-ચીનના વિદેશ મંત્રાલયના નિવેદનો અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યુ હતું.
રણધીર જયસ્વાલે કહ્યું કે અરુણાચલ પ્રદેશના એક ભારતીય નાગરિકની અટકાયતનો મુદ્દો ચીની પક્ષ સમક્ષ મજબૂતીથી ઉઠાવવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે ભારતીય નાગરિક પાસે માન્ય પાસપોર્ટ હતો અને તે શાંઘાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી જાપાન જઈ રહ્યો હતો. રણધીર જયસ્વાલે જણાવ્યું કે ચીનના અધિકારીઓએ આ અંગે હજુ સુધી કોઈ ખુલાસો કર્યો નથી, જે આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીના નિયમોનું ઉલ્લંઘન છે. તેમણે વધુમાં કહ્યું કે ચીનના અધિકારીઓનું આ પગલું તેમના પોતાના નિયમોનું પણ ઉલ્લંઘન કરે છે, જે તમામ દેશોના નાગરિકોને 24 કલાક સુધી વિઝા વિના મુસાફરી કરવાની મંજૂરી આપે છે.

