ઈરાન યુદ્ધના નામે કરોડોનું ઉઘરાણું: IBએ બોગસ સંસ્થાઓ અને ઠગ ટોળકીઓથી ચેતવ્યા
નવી દિલ્હી, 26 માર્ચ 2026: કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ગંભીર ચેતવણી બાદ હવે ઇન્ટેલિજન્સ બ્યુરોએ દેશમાં ચાલી રહેલા એક મોટા ફર્જીવાડા અંગે લોકોને સાવધ કર્યા છે. પશ્ચિમ એશિયામાં ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષનો ફાયદો ઉઠાવીને કેટલાક અસામાજિક તત્વો યુદ્ધ પીડિતોની મદદના નામે ગેરકાયદેસર રીતે ચંદુ ઉઘરાવી રહ્યા છે. તપાસ એજન્સીઓના મતે, આ ઠગ ટોળકીઓ લોકોની ધાર્મિક અને માનવીય સંવેદનાઓ સાથે રમત રમી રહી છે.
આઈબીના અધિકારીઓએ જણાવ્યું કે, આ ઠગ લોકોમાં વિશ્વાસ બેસાડવા માટે યુદ્ધની અત્યંત ભયાનક અને હૃદયદ્રાવક તસવીરો બતાવે છે. તપાસમાં બહાર આવ્યું છે કે આમાંની મોટાભાગની તસવીરો સાથે ડિજિટલ છેડછાડ કરવામાં આવી હોય છે. લોકો આ તસવીરો જોઈને ભાવુક થઈ જાય છે અને માત્ર રોકડ જ નહીં, પરંતુ સોનું અને કિંમતી ઘરેણાં પણ દાનમાં આપી દે છે. અગાઉ ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધ વખતે પણ આવી જ ગતિવિધિઓ જોવા મળી હતી.
તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ કૌભાંડની સૌથી વધુ અસર જમ્મુ-કાશ્મીરમાં જોવા મળી છે. અહીં અંદાજે 16 કરોડ રૂપિયાથી વધુનું ઉઘરાણું કરવામાં આવ્યું હોવાનું અનુમાન છે. ઠગ ટોળકીઓ મુખ્યત્વે શિયા સમુદાયના લોકોને નિશાન બનાવી રહી છે, જેઓ ઈરાન પ્રત્યે વધુ ભાવનાત્મક જોડાણ ધરાવે છે.લોકો પોતાની આજીવનની જમાપુંજી, સોનાના ઘરેણાં અને તાંબાના વાસણો પણ દાનમાં આપી રહ્યા છે. પકડાઈ જવાના ડરથી આ ઠગ ઓનલાઇન પેમેન્ટ લેવાને બદલે ઘરે-ઘરે જઈને રોકડ ઉઘરાવે છે અને નકલી રસીદો પધરાવી દે છે.
સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ રીતે ઉઘરાવાયેલા કરોડો રૂપિયાનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે? સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે આ ફંડનો મોટો હિસ્સો દેશ વિરોધી ગતિવિધિઓ અને જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદી આંદોલનને ફરીથી જીવંત કરવા માટે વાપરવામાં આવી રહ્યો છે. અધિકારીઓના મતે, આ એ જ જૂનું નેટવર્ક છે જે કલમ 370હટાવતા પહેલા અલગતાવાદી જૂથો માટે નાણાં એકઠા કરતું હતું. એજન્સીઓ હાલમાં આ આખા નેટવર્કને તોડી પાડવા માટે સક્રિય થઈ છે અને લોકોને અપીલ કરી છે કે, કોઈપણ અજાણી સંસ્થા કે વ્યક્તિને યુદ્ધના નામે દાન આપતા પહેલા તેની અધિકૃતતાની તપાસ ચોક્કસ કરે.
આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદી ફરી બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા: 68 ટકા રેટિંગ સાથે ગ્લોબલ લિસ્ટમાં ટોચ પર


