
અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના પ્રજાજનોની જનસુખાકારી અને જનસુવિધાના રૂ. 62.82 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતાં જણાવ્યું હતુ કે ડિજિટલ ઈન્ડિયાને દરેક ગામ સુધી પહોંચતું કરવાની નેમ છે. ડિજિટલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત રાજ્યના ચાર હજાર ગામમાં ફ્રી વાઇ ફાઈની સુવિધા પહોંચતી કરવામાં આવશે.આ હેતુસર રાજ્યના આ વર્ષના બજેટમાં પ્રાવધાન કરવામા આવ્યું છે.
તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ગુજરાતના વિકાસની યાત્રા અમે છેવાડાના સામાન્ય માનવીને કેન્દ્રમાં રાખીને આગળ વધારી રહ્યા છીએ. ગુજરાતને છેલ્લા આઠ વર્ષથી ડબલ એન્જીન સરકારનો લાભ મળી રહ્યો છે. જેને પરિણામે ગુજરાત બમણી સ્પીડે આગળ વધી રહ્યું છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, છેવાડાના માનવી સુધી યોજનાના લાભોની સાથે વિકાસનું કાર્ય પહોંચે તેનો સંનિષ્ઠ પ્રયાસ સરકાર કરી રહી છે. સરકારે છેવાડાના અંતરિયાળ વિસ્તારો સુધી રસ્તા, વીજળી, પાણી સહિતની અનેકવિધ પ્રાથમિક અને આંતર માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે.
દરેક તાલુકા અને છેવાડાના ગામ સુધી વિકાસ પહોંચ્યો હોવાનું જણાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, બે દાયકા પૂર્વે રાજ્યમાં રસ્તા, વીજળી, પાણી જેવી પાયાની સુવિધાના અભાવે ઉદ્યોગ ધંધા તાલુકા – ગ્રામ્ય કક્ષાએ પહોંચ્યા નહોતા અને ઉદ્યોગોનો વિકાસ રૂંધાયો હતો. તે આ સરકારે ખૂટતી કડીઓ જોડી દૂર કર્યો છે.
કોવિડના કપરા સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશબાંધવોએ અસરકારક સામનો કર્યો હતો, તેની ભૂમિકા આપતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, સમયસર કોરોના વેક્સીનેશન થકી દેશ આ આફતના સમયમાંથી બહાર આવી ગયો. કોરોના સમયે ધંધા – રોજગાર ગુમાવનારની પડખે સરકાર રહીને કોઈ પણ દરિદ્રનારાયણ ભૂખ્યો ન સુવે તેની ચિંતા કરી છે. આજે પણ આ સેવાયજ્ઞ થકી લાખો લોકોને અનાજ નિઃશુલ્ક અપાઈ રહ્યું છે.
તેમણે ઉમેર્યું કે, કોવિડ મહામારી બાદ ગુજરાત રાજ્યે સૌથી મોટું બજેટ આપ્યું છે. નીતિ આયોગ પ્રમાણે દેશભરમાં ગુજરાત નાણાકીય વ્યવસ્થાપનમાં પ્રથમ ક્રમાંકે છે અને તીવ્ર ગતિથી આગળ ધપી રહ્યું છે.