અમદાવાદઃ વર્તમાન ચોમાસાની ઋતુ દરમિયાન પડેલા ભારે વરસાદમાં ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોને તત્કાલ રિપેર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઉપાડવામાં આવેલા અભિયાન અંતર્ગત વડોદરા પ્રાદેશિક નગરપાલિકા કમિશનર તાબા હેઠળની 26 નગરપાલિકાઓમાં યુદ્ધના ધોરણે ખાડાઓ પૂરવાની કામગીરી કરવામાં આવી છે. આ નગરપાલિકા વિસ્તારોમાં પડેલા નાનામોટા 4893 ખાડાઓને પેચવર્ક કરીને પૂરવામાં આવ્યા છે.
નગરપાલિકા કમિશનરની કચેરીના અધિક કલેક્ટર ગોપાલ બામણિયાએ ઉક્ત બાબતની માહિતી આપતા જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લાની ડભોઇ નગરપાલિકામાં 150, પાદરામાં 35, સાવલીમાં 57 અને કરજણમાં 60 સહિત છોટા ઉદેપુર નગરપાલિકામાં 20, આણંદમાં 996, ખંભાતમાં 26, બોરસદમાં 33, પેટલાદમાં 56, ઉમરેઠમાં 37, કરમસદમાં 102, આંકલાવમાં 156, ઓડમાં 243, બોરયાવીમાં 745, સોજીત્રામાં 95, ગોધરામાં 480, હાલોલમાં 780, કાલોલમાં 46, શહેરામાં 48, લુણાવાડામાં 28, સંતરામપુરમાં 57, બાલાસીનોરમાં 39, દાહોદમાં 615, ઝાલોદમાં 57 દેવગઢ બારિયામાં 26 સહિત કુલ 4893 ખાડાઓ પૂરવામાં આવ્યા છે. રાહદારીઓને કોઇ તકલીફ ના પડે એ માટે રાજ્ય સરકાર દ્વારા ઉક્ત કામગીરીને અગ્રતા આપવામાં આવી રહી છે.
નગરપાલિકા કમિશનર પ્રશસ્તિ પારીકે તમામ નગરપાલિકાઓના મુખ્ય અધિકારીઓને સુચના આપી છે કે, રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી ગ્રાંટમાંથી જરૂર લાગે તેવા તમામ શહેરી માર્ગોને નવરાત્રી પૂર્વે રિસરફેસ કરી નાખવા. આ કામગીરી માટે નગરપાલિકાની કક્ષા અનુસાર રાજ્ય સરકાર દ્વારા વિશેષ અનુદાન ફાળવવામાં આવ્યું છે.
તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ચોમાસા દરમિયાન રાજ્યના શહેરી વિસ્તારોમાં ક્ષતિ પામેલા માર્ગોની સ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી સંબંધિત આરસીએમ કચેરીઓને ખાડાઓ પૂરવાની કામગીરી ઝડપથી કરવા માટે સૂચના આપી હતી. આ સમીક્ષા બેઠક દરમિયાન વડોદરા આરસીએમ કચેરી તાબા હેઠળની નગરપાલિકાઓ દ્વારા કરાયેલી કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી.