- નવા શૈક્ષણિક સત્રથી રત્નકલાકારે સ્કૂલમાં સહાય મેળવવા અરજી કરવાની રહેશે,
- મહત્તમ સહાય રૂ.13500 અપાશે,
- રત્નકલાકારોએ રોજગાર અધિકારી અથવા ડાયમંડ એસો.નું પ્રમાણપત્ર હશે તો જ સહાય મળશે
સુરતઃ ગુજરાતનો હીરા ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપતો ઉદ્યોગ છે. છેલ્લા કેટલાક વર્ષોથી હીરા ઉદ્યોગમાં મંદીનો વ્યાપક દૌર ચાલી રહ્યો છે. મંદીને લીધે અનેક રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. તેના લીધે રત્ન કલાકારોમાં આત્મહત્યાના બનાવો પણ વધી રહ્યો છે. ગુજરાત સરકારે રત્ન કલાકારો માટે પેકેજ જાહેર કર્યું છે. જેમાં રત્ન કલાકારોના બાળકોને શિક્ષણ સહાય આપવામાં આવશે. આ સહાયના નિયમોમાં રત્ન કલાકારો છેલ્લા એક વર્ષથી સંપૂર્ણ બેરોજગાર હોય તેમના સંતાનોની એક વર્ષની 13500 રૂપિયા ફી ભરવાની જાહેરાત કરી હતી. પરંતુ સંપૂર્ણ બેરોજગાર રત્નકલાકારોની યોજનાને લઈને વિવાદ થયો હતો. ત્યારબાદ હવે સરકાર દ્વારા તેમાં સુધારો કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારે રત્ન કલાકારો માટે જાહેર કરેલી સહાયના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે જે રત્નકલાકારો 31 માર્ચ 2024 પહેલાં ડાયમંડનું કામ છૂટી ગયું હશે અને અન્ય કોઈ જગ્યા પર રોજગારી પર લાગી ગયા હશે તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકશે. બાળકના શાળામાં અભ્યાસ કરતાં હોવાનું શાળાનું બોનોફાઈડ સર્ટિફિકેટ અને બાળકની સ્કૂલ ફી અંગેનું સ્કૂલનું પ્રમાણ પત્ર આપાવનું રહશે. આ સહાય મેળવવા માટે શ્રમઅધિકારી, રોજગાર અધિકારી અથવા ડાયમંડ એસોસિએશનનું પ્રમાણપત્ર જરૂરી છે. ફોર્મ ભરવાની આખરી તારીખ 23 જુલાઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રત્ન કલાકારોએ કેટલીક વિગતો આપવી પડશે. જેમાં સહાયની રકમ જમા કરાવવા માટે સ્કુલનાં બેંક ખાતની વિગત: સ્કુલની બેંક એકાઉન્ટ/ખાતા નું નામ, બેંકનું નામ અને સરનામું, સ્કુલનો એકાઉન્ટ/ખાતા નંબર, IFSC Code આપવાનો રહેશે. રત્નકલાકારો દ્વારા કરવામાં આવેલી અરજી સ્કૂલોએ જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે નક્કી કરેલી સમય મર્યાદામાં કરવામાં રહેશે. જે મુજબ પહેલો તબક્કો 30 જૂન, બીજો તબક્કો 7 જૂલાઈ અને ત્રીજો તબક્કો 24 જુલાઈ નક્કી કરાયો છે. જેતે સ્કૂલના પ્રિન્સિપાલે આ અરજી સ્કૂલના ફોર્વર્ડિંગ પત્ર, સ્કૂલના કેન્સલ ચેકની નકલ, વિદ્યાર્થીની યાદી અને FRC મુજબની ફી નિયત ફોર્મેટમાં રજૂ કરવી પડશે.