
ગુજરાતના કર્મચારીઓ પડતર પ્રશ્નેના ઉકેલ માટે 22મીએ દિલ્હીમાં રેલી યોજશે, આજથી લડતનો પ્રારંભ
ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારના કર્મચારી મંડળોએ પડતર પર્શ્નો ઉકેલવા માટે સરકાર સામે મોરચો માંડ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓએ સાતમા પગાર પંચના બાકી ભથ્થાં સહિતની 14 પડતર માગણી ઉકેલવામાં રાજ્ય સરકારની ઉદાસીનતાના વિરોધમાં 3થી 30મી સપ્ટેમ્બર સુધીના આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કર્યા છે. જે મુજબ આજે સપ્ટેમ્બરે તમામ જિલ્લામાં રેલી અને કલેક્ટરને આવેદન, જ્યારે 11મીએ ઝોન સ્તરે રેલી અને કલેક્ટરને આવેદન પત્ર સુપરત કરવા ઉપરાંત 22મી સપ્ટેમ્બરે દિલ્હીના જંતરમંતર ખાતે ધરણાં-દેખાવ રેલી યોજીને PMOને આવેદન સુપરત કરવાનું એલાન કર્યું છે. આમ છતાં જો કર્મચારીઓની પડતર માગણીઓ સ્વીકારવામાં ન આવે તો 30મી સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાલનું એલાન આપવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિના અધ્યક્ષ વિષ્ણુ પટેલ, પ્રમુખ આર.એચ.પેટલ, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ સંજય પટેલ અને મહામંત્રી ગિરીશ પટેલે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, સાતમા પગાર પંચના ભથ્થાં સહિતની 14 માગણી અંગે અગાઉ મુખ્યમંત્રી સહિત સરકારના જવાબદાર મંત્રી, અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરી છે, પરંતુ સરકાર તરફથી હકારાત્મક પ્રત્યુત્તર સાંપડ્યો નથી. સાતમા પગાર પંચના સ્વીકાર સમયે જ કર્મચારી મંડળોની રજૂઆતને પગલે જે તે વખતના મુખ્યમંત્રી દ્વારા મંત્રીઓની એક કમિટી બનાવાઇ હતી. આ કમિટી કર્મચારી મંડળોના હોદ્દેદારો સાથે સમયાંતરે બેઠક યોજીને માગણીઓના તબક્કાવાર ઉકેલ માટે વાટાઘાટ કરશે તેવો નિર્ણય કરાયો હતો. પરંતુ હજુ સુધી કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી, માગણીઓનો સ્વીકાર કરાયો નથી કે માગણીઓ સંદર્ભે સરકારે તેમનું વલણ સ્પષ્ટ કર્યું નથી.
રાજ્ય સરકારના કર્મચારીઓની માગણી છે કે, સાતમા પગાર પંચ મુજબ HRA, શિક્ષણ-વાહન સહિતના ભથ્થાં, રૂ.10 લાખની મર્યાદામાં કેશલેસ મેડિક્લેમ યોજનાનો અમલ, ગ્રેચ્યુઈટી વધારવી, વયનિવૃત્તિ 58થી વધારીને 60 વર્ષ કરવી, જૂની પેન્શન યોજના પુનઃચાલુ કરવી, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ-આઉટસોર્સિંગથી ભરતી બંધ કરી રેગ્યુલર પૂરા પગારથી ભરતી કરવા સહિતની માગ કરવામાં આવી છે. (file photo)