NTCA દ્વારા ગુજરાતને સત્તાવાર રીતે ટાઇગર સ્ટેટ જાહેર કરાયું
- સિંહ, વાઘ અને દીપડો ધરાવતું ભારતનું એકમાત્ર રાજ્ય બન્યું ગુજરાત
- રતનમહાલમાં વાઘનું કાયમી નિવાસ સાબિત થયું
ગાંધીનગર, 26 ડિસેમ્બર 202 : ગુજરાતની ઓળખ અત્યાર સુધી માત્ર ‘એશિયાટિક સિંહો’ના એકમાત્ર નિવાસસ્થાન તરીકે હતી, પરંતુ હવે તેમાં વધુ એક વૈશ્વિક સિદ્ધિ ઉમેરાઈ છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા ગુજરાતને સત્તાવાર રીતે ‘ટાઈગર સ્ટેટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય બન્યું છે જ્યાં કુદરતી નિવાસસ્થાનમાં વન્યજીવ સૃષ્ટિની ત્રણેય મુખ્ય પ્રજાતિઓ સિંહ, વાઘ અને દીપડો એકસાથે વસવાટ કરે છે.
આશરે 33 વર્ષના લાંબા વિરામ બાદ ગુજરાતમાં વાઘની સત્તાવાર હાજરી નોંધાઈ છે. દાહોદ જિલ્લાના રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં છેલ્લા 10 મહિનાથી એક નર વાઘ ટ્રેપ કેમેરામાં સતત કેદ થઈ રહ્યો છે. આ વાઘે રતનમહાલના જંગલોને પોતાનું કાયમી રહેઠાણ બનાવ્યું હોવાના નક્કર પુરાવા મળતા NTCAએ આ ઐતિહાસિક જાહેરાત કરી છે.
આ પણ વાંચોઃ દિલ્હી-NCR પર ઠંડી, ધુમ્મસ અને પ્રદુષણનો ત્રેવડી મારઃ કેટલાક વિસ્તારમાં AQI 400ને પાર
આ ઉપલબ્ધિ બાદ વન વિભાગ હવે રતનમહાલને સત્તાવાર રીતે ‘ટાઈગર રિઝર્વ’ જાહેર કરવાની દિશામાં સક્રિય બન્યું છે. વાઘની વસ્તી વધારવા માટે અન્ય રાજ્યોમાંથી માદા વાઘ લાવવા માટે ગંભીર વિચારણા ચાલી રહી છે. જંગલમાં તૃણહારી પ્રાણીઓની સંખ્યા વધારવા માટે વિશેષ બ્રીડિંગ સેન્ટર્સ અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. વાઘના સંરક્ષણ માટે ‘સ્પેશિયલ પ્રોટેક્શન ફોર્સ’ અને અત્યાધુનિક મોનિટરિંગ સિસ્ટમ તૈનાત કરવામાં આવશે.
વન્યજીવ નિષ્ણાતોના મતે, ગુજરાતને મળેલા આ નવા દરજ્જાથી રાજ્યની વૈશ્વિક ખ્યાતિમાં વધારો થશે. આનાથી રાજ્યમાં ઈકો-ટુરિઝમને મોટો વેગ મળશે અને સ્થાનિક આદિવાસી વિસ્તારોમાં રોજગારીની અનેક નવી તકો ઊભી થશે. સિંહ જોવા ગીર આવતા પ્રવાસીઓ હવે વાઘ જોવા રતનમહાલ તરફ પણ આકર્ષાશે.
આ પણ વાંચોઃ ચીન-પાકિસ્તાનની મિત્રતા ભારતની સુરક્ષા માટે ચિંતાજનક: US રિપોર્ટ


