1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત એસટી નિગમને દિવાળી ફળી, સુરત ડિવિઝનને 3.42 કરોડની આવક થઈ
ગુજરાત એસટી નિગમને દિવાળી ફળી, સુરત ડિવિઝનને 3.42 કરોડની આવક થઈ

ગુજરાત એસટી નિગમને દિવાળી ફળી, સુરત ડિવિઝનને 3.42 કરોડની આવક થઈ

0
Social Share

સુરતઃ દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓના  ટ્રાફિકને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. અને પુરતો ટ્રાફિક મળતા એસટી નિગમને દિવાળી ફળી છે. દિવાળીના આગમન પહેલાથી દિવાળી સુધી સુરતથી ઝાલોદ, દાહોદ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ દોડાવાયેલી સ્પેશિયલ બસોએ સુરત એસટીની તિજોરી છલકાવી દીધી છે. દિવાળી પહેલાંના પાંચ દિવસમાં સુરત એસટીએ 1737 ટ્રિપ દોડાવી 97 હજાર મુસાફરોને પોતાના મુકામ સુધી પહોંચાડ્યા હતા. જેના થકી એસટીને 3.42 કરોડ રૂપિયાની આવક થઈ હતી.

રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સુરત એસટી ડેપોની મુલાકાત દરમિયાન એસટીના કર્મચારીઓને મીઠાઈ વહેંચી દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. એસટી ડેપોની મુલાકાત દરમિયાન ડેપો પર સુવિધાનો અભાવ જોવા મળી આવ્યો હતો. જેમાં બંધ પડેલા પંખા તાત્કાલિક ધોરણે બદલી નવા લગાડવા માટેની સૂચના વાહન વ્યવહાર મંત્રીએ એસટી ડેપો અધિકારીઓને આપી હતી. સુરત એસટીના ઇતિહાસમાં પ્રથમવાર આટલી મોટી આવક થઈ છે. દિવાળીના તહેવારોના પાંચ દિવસ દરમિયાન સુરત એસટીની 1737 બસે અંદાજિત 6.74 લાખ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. બીજી ત૨ફ દિવાળી દરમિયાન સૌથી વધુ 68 ટ્રિપ ઝાલોદ અને 21 ટ્રિપ અમરેલી દોડાવવામાં આવી હતી. દિવાળી પહેલા 97 હજાર મુસાફરોને પોતાના મુકામ સુધી પહોંચાડવા સાથે એસટીએ 1737 ટ્રિપનું સફળ સંચાલન કરી 3.42 કરોડ રૂપિયાની આવક રળી છે. એસટી દ્વારા અમરેલી. સાવરકુંડલા, મહુવા, ભાવનગર. ગારીયાધાર, જૂનાગઢ, અમદાવાદ, રાજકોટ, ઝાલોદ, દાહોદ, લુણાવાડા, ઉના, છોટાઉદેપુર, બારીયા તરફ સ્પેશિયલ બસ દોડાવવામાં આવી હતી.

સુરત એસટી વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દાહોદ, પંચમહાલ, ગોધરા, ઝાલોદ તરફ સ્પેશિયલ બસ દોડાવવા આગોતરું આયોજન કરાયું હતું. આ ઉપરાંત વીતેલા કેટલાક વર્ષોથી ગ્રૂપ બુકિંગ શરૂ કરાતા તેનો મોટો લાભ મળી રહ્યો છે. એસટી વિભાગ દ્વારા ગ્રૂપ બુકિંગ કરાવનારાઓને સોસાયટીથી તેઓના વતન સુધી પહોંચાડવાની સવલત પૂરી પાડવામાં આવે છે. આ વખતે દિવાળી ટાણે ખાનગી બસના સંચાલકો બમણું ભાડું કરી દેતા લોકોને સરકારી બસમાં જવાનો સારો વિકલ્પ મળી રહેતા મોટી સંખ્યામાં પ્રવાસીઓએ એસટી બસમાં મુસાફરીનો લાભ લીધો હતો.  જેથી કરીને એસટીને સારી આવક થઈ  છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code