
ગુજરાતમાં અંબાજી, સોમનાથ, વડનગર સહિત સાત સ્થળોએ ડોમેસ્ટીક ઉડ્ડિયન માટે હેલીપેડ બનાવાશે
ગાંધીનગરઃ વડાપ્રધાન મોદીએ ગાંધીનગરમાં ડિફેન્સ એક્સ્પો 2022નું ઉદ્ઘાટન કર્યુ હતુ. ગુજરાતમાં ભવ્ય ડિફેન્સ એકસ્પોનું 18થી 22 ઓક્ટોબર સુધી આયોજન કરાયું છે. વડાપ્રધાને 52 વિંગ એરફોર્સ સ્ટેશન ડીસાનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કર્યો છે. ત્યારે આ સમયે ડીસાના નાણી ખાતે એરબેઝના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ ગુજરાતમાં વધુ સાત સ્થળે નવા હેલિપેડ બનવાની જાહેરાત કરી હતી. નાંણી ગામે 4518 એકર જમીનમાં ડીસા એરફિલ્ડનું રૂ.1000 કરોડના ખર્ચથી નિર્માણ કરાશે.
વડાપ્રધાન મોદીએ 52 વિંગ એરફોર્સ સ્ટેશન ડીસાનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કર્યો છે. ત્યારે ડીસાના નાણી ખાતે એરબેઝના ખાતમુહૂર્તમાં હાજર રહેલા ગુજરાતના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ મોટી જાહેરાત કરી હતી કે, રાજ્યના વધુ સાત સ્થળે નવા હેલિપેડ બનાવાશે. ડોમેસ્ટિક ઉડ્ડયન માટે રાજ્યના તમામ તાલુકામાં એક હેલિપેડ બને તે માટે સરકાર કામ કરી રહી છે. જેના ભાગરૂપે રાજ્યના 7 સ્થળોએ નવા હેલિપેડ બનાવવામાં આવશે. સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, અંબાજી, સોમનાથ, અમદાવાદ-સાબરમતી અને વડનગરમાં નવા હેલિપેડ બનાવવામાં આવશે. નવા હેલિપેડ માટે રાજ્ય સરકાર કામ કરી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ડીસા એરોફોર્સ સ્ટેશનનું લોકાર્પણ થવાથી ગુજરાતમાં પાંચમાં એરબેઝનો શિલાન્યાસ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં સર્વાંગી વિકાસની સાથે જમીની, દરિયાઈ અને હવાઈ માર્ગે સેનાનું મજબુતીકરણ થયું છે. આધુનિક ટેકનોલોજીના આ ફાસ્ટ યુગમાંના રક્ષણ માટે ફાઈટર પ્લેનનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં થઇ રહ્યો છે તે આપણે રશિયા-યુક્રેનના યુધ્ધમાં પણ જોયું છે. પુલવામાં હુમલા બાદ ફાઈટર પ્લેનના ઉપયોગથી આપણા દેશના જવાનોએ દુશ્મનોના દાંત ખાટા કરીને જડબાતોડ જવાબ આપ્યો હતો.
તેમણે ઉમેર્યું હતું કે, ડીસા એરબેઝ બનવાથી સમગ્ર ગુજરાતની જનતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. આપણું ગુજરાત 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો ધરાવે છે. આ એરબેઝના માધ્યમથી દેશની સુરક્ષા અને સલામતિમાં વધારો થશે તથા આંતરરાષ્ટ્રીય સરહદો વધુ સુરક્ષિત બનશે. હિન્દુસ્તાન-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર બી.એસ.એફ.ના જવાનો રાતદિવસ સુરક્ષા કરે છે. તેનાથી નાગરિકો વાકેફ થાય અને સરહદને નજીકની જોઇ શકે તે માટે નડાબેટ ખાતે વાઘા બોર્ડરની જેમ સીમા દર્શન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જેની મોટી સંખ્યામાં લોકો મુલાકાત લઇ રહ્યાં છે. ગુજરાતની અંદર નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા એરપોર્ટની તર્જ પર તાલુકા મથકોએ હેલિકોપ્ટર ઉતરી શકે એવા હેલીપેડ બનાવાશે.