
ગૃહમંત્રી અમિત શાહ 16 એપ્રિલે ગોવા જશે,ચૂંટણી રેલીને સંબોધશે
- ગૃહમંત્રી અમિત શાહ 16 એપ્રિલે ગોવા જશે
- ચૂંટણી રેલીને સંબોધશે
- બીજેપી રાજ્ય એકમના અધ્યક્ષએ આપી માહિતી
દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી વર્ષની લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રચારના ભાગરૂપે 16 એપ્રિલે દક્ષિણ ગોવાના પોંડા શહેરમાં એક જાહેર સભાને સંબોધશે. બીજેપી રાજ્ય એકમના અધ્યક્ષ સદાનંદ શેટ તનાવડેએ સોમવારે આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે, ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ શાહ 2024ની સામાન્ય ચૂંટણી માટે પાર્ટીના પ્રચારના ભાગરૂપે પડોશી મહારાષ્ટ્રથી ગોવા પહોંચશે અને પોંડા શહેરમાં એક સભાને સંબોધશે. તાનાવડે પ્રદેશ ભાજપ કોર કમિટીની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. આ બેઠકમાં ચૂંટણી રેલીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પણ આ કોર કમિટીના સભ્ય છે. તેમણે પણ બેઠકમાં હાજરી આપી હતી. ભાજપના નેતાએ કહ્યું કે શાસક પક્ષ મે મહિનામાં સાંખાલિમ (ઉત્તર ગોવા) અને પોંડા મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણી માટે પણ તૈયારી કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે નગર પરિષદની ચૂંટણી પાર્ટીની ટિકિટ પર લડવામાં આવશે નહીં, પરંતુ ભાજપ ઉમેદવારોને સમર્થન આપશે.
ઉલ્લેખનીય છે કે, અમિત શાહ હાલ અરુણાચલ પ્રદેશની મુલાકાતે છે, જ્યાં તેઓએ અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ 14 એપ્રિલે બંગાળના બે દિવસીય પ્રવાસે જશે, જ્યાં ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. જે બાદ આગામી વર્ષની લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રચારના ભાગરૂપે દક્ષિણ ગોવાના પોંડા શહેરમાં એક જાહેર સભાને સંબોધશે.