રાસ્કા જળ શુદ્ધિકરણ મથકમાં પાણી પુરુ પાડતી શેઢી કેનાલમાં મરામત કામગીરીથી પાણી પુરવઠા પર અસર
અમદાવાદ, 2 મે 2026: રાસ્કા જળ શુદ્ધિકરણ મથકમાં પાણી પુરુ પાડતી શેઢી કેનાલમાં મરામત કામગીરીથી પાણી પુરવઠા પર અસર તેમ મહાપાલિકા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ અંગેની યાદીમાં જણાવ્યા અનુસાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર પ્રોજેક્ટ વિભાગ દ્વારા જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે રાસ્કા જળ શુદ્ધિકરણ મથકમાં પાણી પુરું પાડતી શેઢી કેનાલમાં સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે.
3મેના રોજ રામોલ-હાથીજણ, વસ્ત્રાલ વોર્ડ તેમજ દક્ષિણ ઝોનના અનેક વિસ્તારોમાં અસર
આ કામગીરીને કારણે કેનાલમાં પાણીના લેવલમાં ઘટાડો નોંધાયો છે, જેના પરિણામે રાસ્કા જળ શુદ્ધિકરણ મથક ખાતે પૂરતું પાણી ઉપલબ્ધ થઈ રહ્યું નથી. પરિણામે, મથકમાંથી શહેરમાં પૂરતા પ્રમાણમાં પાણીનું વિતરણ કરવામાં અસમર્થતા રહેશે. સિંચાઈ વિભાગ દ્વારા તા. 02/05/2026ની મધરાત્રિ સુધી પાણીનું લેવલ સામાન્ય કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ ધો. 12 વિજ્ઞાન-સામાન્ય પ્રવાહ, GUJCET-26 સહિતનાં પરિણામોની તારીખ જાહેરઃ જાણો ક્યાં ક્યારે જોઈ શકશો?
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તા. 03/05/2026ના રોજ પૂર્વ ઝોનના રામોલ-હાથીજણ વિસ્તાર અને વસ્ત્રાલ વોર્ડ તેમજ દક્ષિણ ઝોનના તમામ જળ વિતરણ મથકોમાં પાણીના પુરવઠામાં ઘટાડો રહેશે. આ વિસ્તારોમાં ઉપલબ્ધ પાણીના જથ્થા મુજબ જ પાણીનું વિતરણ કરવામાં આવશે.


