
શાખ બચાવવા ઈમરાન ખાનનો અંતિમ દાવઃ અવિશ્વાસ પ્રસ્તાવનો મામલો ફરીથી કોર્ટમાં પહોંચ્યો
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકાર ઉપર સંકટ વધારે ઘેરાઈ રહ્યું છે. તેમજ રાતના 8 વાગ્યાની આસપાસ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર મતદાન કરવામાં આવે તેવી શકયતા છે. દરમિયાન સમગ્ર મામલો ફરી એકવાર કોર્ટમાં પહોંચ્યો છે. પીએમ ઈમરાનખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફએ સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટીશન દાખલ કરી છે. સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવને ફગાવી દેવાના ડેપ્યુટી સ્પીકરના નિર્ણયને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણી ઠરાવીને સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર મતદાન કરવા નિર્દેશ કર્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ દરખાસ્ત ઉપર આજે રાત્રે 8.30 વાગે મતદાન યોજાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. એટલું જ નહીં સંખ્યાના અભાવે ઈમરાન સરકાર પડી જાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. પાકિસ્તાનની વિપક્ષી પાર્ટી PML-Nના નેતા અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝે ઈમરાન ખાન પર આકરા પ્રહાર કર્યાં છે. એક વ્યક્તિ જે હોશમાં નથી તેને સમગ્ર દેશને બરબાદ કરવાની મંજૂરી આપી શકાય નહીં. ઈમરાન પીએમ કે પૂર્વ પીએમ નથી, આ સમયે તેને એક મનોરોગી તરીકે લેવો જોઈએ જે માત્ર પોતાની ખુરશી બચાવવા માટે આખા દેશને બંધક બનાવી રહ્યો છે. દરમિયાન નારાજ પીટીઆઈ સભ્ય નૂર આલમ ખાને પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની મજાક ઉડાવતા કહ્યું કે ગભરાવાની કોઈ વાત નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક દિવસથી રાજકીય સંકટ ઘેરાયું છે અને વિપક્ષે ઈમરાન ખાન સામે અવિશ્વાસના પ્રસ્તાવની તૈયારીઓ શરૂ કરી હતી. બીજી તરફ ઇમરાન ખાન સરકાર પોતાની સત્તા બચાવવા માટે હવાતિયા મારી રહી છે.