અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ઘણા કિસ્સામાં વાહનચાલકો નશાની હાલતમાં પુરફાટ ઝડપે વાહન ચલાવીને અકસ્માત કરતા હોય છે, ત્યારે શહેરના પોલીસ કમિશનરે દારૂડિયા વાહનચાલકોને પકડવા માટે ઝૂંબેશ ચલાવવાનો આદેશ આપ્યો છે. દારૂ પીધેલી હાલતમાં વાહનચાલક પકડાશે તો તેની સામે પોલીસ ફરિયાદ કરાશે. જ્યારે દારૂડિયા વાહનચાલકને પકડનારા પોલીસ જવાનને 200 રૂપિયા ઈનામની જાહેરાત પણ કરવામાં આવી છે. શહેરમાં પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવ સામે ઝૂંબેશ શરૂ કરતા માત્ર એક જ દિવસમાં દારૂ પીને વાહનો ચલાવતાં 39 લોકો પકડાતા તેમની સામે ફરિયાદ નોંધીને ધરપકડ કરી છે.
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકનના આદેશ બાદ પોલીસે જુદા જુદા વિસ્તારોમાં વાહન ચેકિંગ ઝૂંબેશ હાથ ધરી હતી. જેમાં એક જ દિવસમાં દારૂ પીને વાહન ચલાવતાં 39 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની સામે ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. તારીખ 24 ડિસેમ્બર, રવિવારના રોજ એક જ દિવસમાં અમદાવાદ શહેર ખાતે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અંતર્ગત ફુલ 39 લોકો સામે FIR નોંધીને ધરપકડ કરવામાં આવી હતી. શહેર પોલીસની ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પહેલા જ દિવસે સફળ મળી છે.
શહેરમાં પોલીસ દ્વારા દારૂડિયા વાહનચાલકો સામે લાલ આંખ કરવામાં આવી છે. નશામાં વાહન ચલાવનારાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાશે. દારૂડિયા ચાલકોને પકડવા પોલીસને પ્રોત્સાહન રાશિ મળશે. એટલે કે, પોલીસ કર્મચારીઓને 200 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે તો તેનો કડક અમલ કરાવવાની માગ પણ ઊઠી છે. માત્ર અમદાવાદ શહેર જ નહીં પણ હાઈવે પર પણ ઘણા વાહનચાલકો દારૂ પીધેલી હાલતમાં પૂરફાટ ઝડપે વાહનો દોડાવતા હોય છે. અકસ્માતો સર્જીને નિર્દોષ લોકોના ભોગ લેતા હોય છે. એટલે રાજ્યના હાઈવે પર પણ દારૂડિયા વાહનચાલકો સામે ઝુંબેશ શરૂ કરવી જાઈએ તેવી માગ ઊઠી છે. (file photo)