ગુજરાતમાં બોર્ડની ધો-9થી 12ની પ્રથમ છ માસિક કસોટી મરજિયાતઃ શિક્ષણ મંત્રી
અમદાવાદઃ બોર્ડ ધ્વારા લેવાનાર ધોરણ-9 થી 12ની પ્રથમ છ માસિક કસોટી રાજ્ય સરકાર દ્વારા મરજિયાત કરવામાં આવી છે. તેમ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રતિનિધિઓ સાથે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલાની સૂચનાથી શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે યોજાયેલ બેઠકમાં મહામંડળ દ્વારા કરાયેલ રજૂઆતો સંદર્ભે સવિસ્તૃત ચર્ચા-વિચારણા કરી આ નિર્ણય લેવાયો હતો.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, ધોરણ-10 અને 12ની પરીક્ષાઓ માટે રાજ્યભરમાં બોર્ડ દ્વારા પરીક્ષાઓનું આયોજન કરવામાં આવતું હોય છે તેવા સંજોગોમાં ધોરણ 9 થી 12ની પરીક્ષાઓ બોર્ડ દ્વારા યોજવી વહીવટી રીતે મુશ્કેલ અને ગુપ્તતા જાળવવામાં પણ મુશ્કેલીઓ ઉભી થવાના પ્રશ્નો રહે છે. એટલા માટે આ નિર્ણય કરાયો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગ્રામ્ય, તાલુકા અને શહેરી વિસ્તારમાં કોવિડની પરિસ્થિતીમાં કોર્સ ચલાવવામાં આગળ પાછળ થયુ છે. ત્યારે કોર્સમાં વિસંગતતાના પ્રશ્નો હોઇ આ પરીક્ષા યોજવી મુશ્કેલરૂપ છે. તેમજ સરકારી, ગ્રાન્ટેડ, સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં વિદ્યાર્થીઓની ક્ષમતા પણ અલગ અલગ હોય છે. આ ઉપરાંત સ્વનિર્ભર શાળાઓ પોતાની રીતે કાર્ય અને અભ્યાસ નિશ્ચિત કરે છે ત્યારે બોર્ડના રિઝલ્ટ સારા આપી શકાય છે. આ રીતે સમગ્રશિક્ષણ પદ્ધતિથી શૈક્ષણિક કાર્ય એકસરખું ન હોઇ વિદ્યાર્થીઓને નૂકસાન થવાની પણ સંભાવના હોય છે. તેથી બોર્ડ દ્વારા આવી પરીક્ષાઓ યોજવી હિતાવહ નથી.