
ગુજરાતમાં 23મી જુલાઈથી દર શનિવારે ધો.1થી 3ની પ્રથમ સત્રની સામાયિક કસોટી લેવાશે
ગાંધીનગરઃ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જીસીઈઆરટી) દ્વારા મૂલ્યાંકનના હેતુસર રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં સમયાંતરે સામયિક મૂલ્યાંકન કસોટીઓ યોજવામાં આવે છે. શૈક્ષણિક વર્ષ 2022-23 માં પ્રથમ સત્રમાં ધોરણ ત્રણથી આઠમાં કસોટી યોજાશે. જે મુજબ આગામી તારીખ 23 જુલાઈને શનિવારથી સામાયિક કસોટીઓ લેવાનો આરંભ થશે અને પછીથી સમયપત્રક મુજબ દર શનિવારે આ પ્રકારે વિષય મુજબ કસોટી લેવામાં આવશે.
જીસીઈઆરટીના સૂત્રોના જણાવ્યા મુજબ ધો. 3થી 8માં મૂંલ્યાકન કસોટીનો આરંભ 23 જુલાઈને શનિવારથી થશે. જેમાં ધો. 5માં પર્યાવરણના પ્રથમ અને બીજા પ્રકરણની કસોટી લેવાશે. જ્યારે ધો. 6માં ગુજરાતીમાં પ્રથમ અને બીજું પ્રકરણ, ધો. 7માં વિજ્ઞાનનું પ્રથમ પ્રકરણ અને ધો. 8માં સામાજિક વિજ્ઞાનના પ્રથમ પ્રકરણની કસોટી લેવામાં આવશે ત્યારબાદ 30 જુલાઈએ કસોટી લેવાશે. સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ દ્વારા સામાયિક કસોટીઓના પ્રશ્નપત્રો કસોટીના સમય પત્રક મુજબ જે દિવસે કસોટી હશે તે દિવસે જ શાળાને ઓનલાઇન ઉપલબ્ધ કરાવવા છે, જેથી કસોટીનું આયોજન રિસેસ પછી કરવાનું જણાવ્યું છે. સામયિક કસોટી જે તે દિવસે શાળાને ઉપલબ્ધ થવાને કારણે કસોટીના પ્રશ્નપત્રો બોર્ડ પર લખીને અથવા જે શાળામાં સ્માર્ટ ક્લાસ હોય ત્યાં સ્ક્રીન પર ડિસ્પ્લે કરીને કસોટીનું સંચાલન કરવાનું રહેશે. શાળા દ્વારા પ્રત્યેક વિદ્યાર્થીને વ્યક્તિગત પ્રશ્નપત્ર આપવામાં આવે તેવો આગ્રહ રાખવામાં આવશે નહીં. આ આયોજન ગુજરાતી માધ્યમની શાળાઓ માટે છે. અન્ય માધ્યમમાં ગુજરાતીને બદલે પ્રથમ ભાષાની કસોટી યોજવાની થશે. હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં હિન્દી અને અંગ્રેજીને બદલે ગુજરાતી દ્વિતીય ભાષાની કસોટી લેવામાં આવશે. પ્રથમ ભાષા, વિજ્ઞાન, ગણિત તથા સામાજિક વિજ્ઞાન વિષયની કસોટીઓ માટે રાજ્ય સ્તરેથી આપવામાં આવનાર એક સમાન કસોટી પત્રનો ઉપયોગ કરવાનો રહેશે. આ સિવાયના અન્ય વિષયની કસોટી સ્વનિર્ભર અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ સ્વૈચ્છિક રીતે લઈ શકશે.