મુંબઈમાં રૂ. 2000ની બોગસ ચલણી નોટ કેસમાં દાઉદ ગેંગનું કનેક્શન ખુલ્યું, જાવેદ ચિકનાની સંડોવણી
મુંબઈઃ બેંકોમાં રૂ. 2000ની નોટો જમા કરાવવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે, પરંતુ તે પહેલા જ કેન્દ્રીય તપાસ એજન્સી NIAએ પાકિસ્તાનમાં રૂ. 2000ની નકલી નોટો બનાવવા અને ભારતમાં ઘુસાડવા અને વટાવવામાં અંડરવર્લ્ડ ડોન દાઉદની ભૂમિકાનો પર્દાફાશ કર્યો છે. NIAએ આ કેસમાં ચાર આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતો. આમાં દાઉદના નજીકના મિત્ર જાવેદ ચિકનાનું નામ પણ સામે છે. દાઉદના આ વિશ્વાસુ સાગરિતને હવે ડી ગેંગના સાગરિતો અંકલ તરીકે ઓળખે છે.
થાણે ક્રાઈમ બ્રાન્ચે 17 નવેમ્બર 2021ના રોજ છટકું ગોઠવીને રિયાઝ અબ્દુલ શિકિલકર નામના આરોપીની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 2000 રૂપિયાની 149 નોટો જપ્ત કરી હતી. પોલીસે આ કેસમાં રિયાઝના ભાઈ ફૈયાઝ અને નિસાર ચૌધરી નામના આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી. જપ્ત કરાયેલી નોટો એટલી ઉચ્ચ ગુણવત્તાની હોવાથી અસલી અને નકલી નોટો વચ્ચે તફાવત કરવો મુશ્કેલ હતો, તેથી થાણે ક્રાઈમ બ્રાન્ચ સમજી ગઈ કે આ નોટો ભારતની બહાર છાપવામાં આવી છે. આ પછી કેસ NIAને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
NIAને તેની તપાસમાં ફરી જાણવા મળ્યું કે, પકડાયેલા આરોપીઓ આ નકલી કરન્સી રેકેટમાં દાઉદના માણસ જાવેદ ચિકનાના સંપર્કમાં હતા. રિયાઝ શિકિલકરે તપાસ અધિકારીઓને કથિત રીતે કહ્યું હતું કે, આ નોટો તેમની પાસે એક એજન્ટ નિસાર ચૌધરી દ્વારા પહોંચતી હતી અને અંકલ તરીકે ઓળખાતો દાઉદનો સાગરિત આ એજન્ટને નોટો પહોંચાડતો હતો. તેણે સ્વીકાર્યું કે તે આ ‘અંકલ’ના વોટ્સએપ કોલ અને ચેટ દ્વારા સંપર્કમાં હતો.