જયપુર – રાજસ્થાનમાં વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક પાર્ટી એડી ચોંટીનું જોર પોતાની જીત માટે લગાવી રહી છે ત્યારે હવે આજ રોજ મંગળવારે કોંગ્રેસ એ ઘોષણા પત્ર પણ જારી કરી દીધો છે જેમાં 4 લાખ જેટલી સરકારી નોકરીઓ સહિત રાજ્યને જનતાને અનેક વાયદાઓ કર્યા છે
આજ રોજ જયપુર ખાતે ઘોષણા પત્ર ની રજૂઆત કરવાના પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે રાજસ્થાન કોંગ્રેસનો મજબૂત ગઢ રહ્યો છે, અમે માત્ર એવા વચનો કરીએ છીએ જે પૂરા કરી શકીએ.
આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે રાજસ્થાનની અર્થવ્યવસ્થા આ વર્ષના અંત સુધીમાં 15 લાખ કરોડ રૂપિયાની થઈ જશે અને તેને 2030 સુધીમાં 30 લાખ કરોડ રૂપિયા સુધી લઈ જવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં કહેવામાં આવ્યું છે કે સ્વામીનાથન સમિતિની ભલામણો અનુસાર ખેડૂતો માટે MSP કાયદો લાવવામાં આવશે. ચિરંજીવી વીમાની રકમ 25 લાખ રૂપિયાથી વધારીને 50 લાખ રૂપિયા કરવામાં આવશે. સાથે જ 4 લાખ યુવાનોને સરકારી નોકરી અને 10 લાખ યુવાનોને રોજગારી આપવામાં આવશે.
ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે પંચાયત સ્તરે સરકારી નોકરીઓની નવી કેડર બનાવવાનું વચન આપ્યું છે. ગેસ સિલિન્ડર અત્યારે 500 રૂપિયામાં મળે છે, તે ઘટાડીને 400 રૂપિયા કરવામાં આવશે.
રાજસ્થાનના જાહેરનામામાં મનરેગાના દિવસોની સંખ્યા વધારવાનું વચન પણ આપવામાં આવ્યું છે. મનરેગા અને ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર 125 થી વધારીને 150 દિવસ કરવામાં આવશે.
આ સાથે જ 100 સુધીની વસ્તી ધરાવતા ગામો અને વસાહતોને રસ્તા દ્વારા જોડવામાં આવશે. દરેક ગામ અને શહેરી વોર્ડમાં સુરક્ષા ગાર્ડ તૈનાત કરવામાં આવશે. રાઈટ ટુ હાઉસિંગ એક્ટ લાવીને દરેકને આવાસ આપવામાં આવશે. પહેલાથી ચાલી રહેલી યોજનાઓને વધુ મજબૂત બનાવવામાં આવશે.
આ સાથે જ કહવામાં આવ્યું છે કે રાજ્યમાં RTE કાયદો લાવીને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ 12મા સુધીનું શિક્ષણ મફત કરવામાં આવશે. આ ઉપરાંત દરેક વિભાગને ધ્યાનમાં રાખીને જાહેરાતો કરવામાં આવી છે.
આ સહિત નાના વેપારીઓ અને દુકાનદારોને 5 લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન આપવા માટે મર્ચન્ટ ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવશે. સરકારી કર્મચારીઓને ચોથા પગાર ધોરણની શ્રેણી 9,18,27 અને અધિકારીઓને સર્વોચ્ચ સ્કેલ આપવામાં આવશે.