
રાજકોટમાં બાકી પ્રોપર્ટી ટેક્સમાં રિબેટ આપવા છતાં 1.94 લાખ મિલ્કતદારો ટેક્સ ભરતા નથી
રાજકોટઃ શહેરમાં વસતી સાથે શહેરનો વ્યાપ પણ વધ્યો છે. શહેરમાં લાખો પ્રોપર્ટીધારકો છે. અને મ્યુનિ.કોર્પોરેશનને મુખ્ય આવક પ્રોપર્ટી ટેક્સની છે. પણ કેટલાક પ્રોપર્ટીધારકો વર્ષોથી મિલક્ત વેરો ભરતા નથી. આ વર્ષે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનએ બાકી ટેક્સધારકો માટે શાનદાર રિબેટ યોજના અમલમાં મુકી છે. જે વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ પુરી થવામાં હવે બે દિવસ જ બાકી રહ્યા છે. મ્યુનિ.ના બે લાખ બાકીદારોમાંથી 5500 જેટલા બાકીદારોએ યોજનાનો લાભ લેવા અરજીઓ કરી છે અને જેમાં 7.62 કરોડની રકમ મ્યુનિ.ને વેરા પેટે મળી છે. ચાલુ વર્ષે મ્યુનિ.ને 36900થી વધુ કરદાતાઓએ વેરો ભરપાઈ કરતા વેરા પેટે કુલ 309.98 કરોડની આવક થઈ છે. જ્યારે આશ્વર્યની બાબત તો એ છે કે, મ્યુનિની આકર્ષક રિબેટ યોજના હોવા છતાં 1.944 મિલકતદારોએ પ્રોપર્ટી ટેક્સ ભર્યો નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના કરવેરાના બાકીદારો પાસેથી લેણી નીકળતી રકમ સહેલાઇથી મળી રહે, બાકીદારો પર નવા વર્ષથી નવા વ્યાજનો બોજ અટકે, બાકીદારોને એકસાથે સમગ્ર રકમ ભરવાપાઇ કરવામાંથી રાહત મળે અને વધુમાં વધુ મિલકતધારકો સમયાંતરે એડવાન્સમાં વેરો ભરવા પ્રોત્સાહિત થાય તે માટે RMC દ્વારા વન ટાઇમ ઇન્સટોલમેન્ટ સ્કીમ તા.14 ફેબ્રુઆરીથી અમલમાં મુકવામાં આવી છે જે આગામી તા.31 માર્ચના રોજ પૂરી થશે. આ યોજના અંતર્ગત મિલકતધારકે પોતાની મિલકતના ચાલુ વર્ષના મિલકતવેરાની પૂરેપૂરી રકમ તથા અગાઉના વર્ષોની મિલકત વેરાની વ્યાજ સહિતની બાકી રકમના 10%, 15%, 25%, 25% અને 25% મુજબ 5 વર્ષ સુધીમાં બાકી ૨કમ ભરપાઇ કરી શકે તેવી જોગવાઇ કરવામાં આવી છે. બાકી મિલકતવેરો ભરવો હોય પણ એકસાથે બાકી મિલકતવેરો ભરી શકતા ન હોય અને તેને કારણે દર વર્ષે 18% જેટલું વ્યાજ ચડતુ હોય છે. શહેરના મિલકતધારકો પર આ નવા વ્યાજનો બોજ હળવો થાય તે માટે નવી અમલી બનેલી વન ટાઇમ ઇન્સટોલમેન્ટ સ્કીમ હેઠળ આગામી ચાર વર્ષમાં કરવેરાની બાકી રકમ કટકે કટકે ભરી શકશે અને તે દરમિયાન જૂના બાકી વેરાનું વધારાનું વ્યાજ પણ ચડતું બંધ થશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના બાકી પ્રોપર્ટીધારકો માટે આકર્ષક રિબેટ યોજના અમલમાં મુકવામાં આવ્યા બાદ તા.14 ફેબ્રુઆરીથી આજ દિન સુધીમાં અંદાજે 5500 જેટલાં મિલકતધારકોએ લાભ લીધેલ છે, અને વન ટાઇમ ઇન્ટોલમેન્ટ સ્કીમ હેઠળ 10% મુજબ રૂ.7.62 કરોડ ભરપાઇ કરેલ છે. ચાલુ નાણાકીય વર્ષમા કુલ 36900 થી વધુ કરદાતાઓ રૂ.309.98 કરોડ મહાનગરપાલિકામા ભરપાઇ કરવામા આવેલ છે.