1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં અસહ્ય ગરમીમાં વાયરલ ઈન્ફેક્શનનો વાયરો, શરદી-ઊઘરસના કેસમાં પણ થયો વધારો,
રાજકોટમાં અસહ્ય ગરમીમાં વાયરલ ઈન્ફેક્શનનો વાયરો, શરદી-ઊઘરસના કેસમાં પણ થયો વધારો,

રાજકોટમાં અસહ્ય ગરમીમાં વાયરલ ઈન્ફેક્શનનો વાયરો, શરદી-ઊઘરસના કેસમાં પણ થયો વધારો,

0
Social Share

રાજકોટઃ શહેરમાં વધતા જતા તાપમાનને લીધે વાયરલ બિમારીના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં શરદી-ઉધરસ અને તાવ સહિત વાયરલ ઈન્ફેક્શનનાં કેસોમાં વધારો થયો છે. જેમાં મેલેરિયાનો 1 સહિત વિવિધ રોગોનાં મળીને કુલ 1316 કેસ નોંધાયા છે. જ્યારે ગત સપ્તાહે વિવિધ રોગનાં કુલ 1400 કરતા વધુ કેસ નોંધાયા હતા. જોકે, આ આંકડાઓ માત્ર મ્યુનિ. સંચાલિત આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકોમાં દર્દીઓની લાઈનો જોતા આ આંકડો 5 ગણો એટલે કે, 6,500 કરતા વધુ હોવાની શક્યતા છે.

રાજકોટ શહેરમાં છેલ્લા એકાદ સપ્તાહથી સિવિલ હોસ્પિટલ તેમજ મ્યુનિ. સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી રહી છે. અને મ્યુનિ.ના ચોપડે વિવિધ રોગોનાં 1316 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસનાં ગત સપ્તાહનાં 879 કેસ સામે આ સપ્તાહે 741 કેસ, ઝાડા-ઊલટીનાં 258 સામે 229 અને સામાન્ય તાવનાં 328 સામે 345 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં મેલેરિયાનો પણ એક  કેસ નોંધાયો હતો. જેને લઈને ફોગીંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે.

આરએમસીના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો નોંધાયો છે. લોકોએ બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. તેમજ બહારનો ખોરાક લેવાથી દૂર રહેવાની સાથે ગરમ પાણીનું સેવન કરવું જોઈએ. સામાન્ય સૂકી ઉધરસ માટે હળદરનો ઉપયોગ કરવો જોઈએ. ઉપરાંત જો કોઈપણ પ્રકારે તબિયત વધુ લથડતી લાગે તો તરત જ મ્યુનિ.ના આરોગ્ય કેન્દ્રો અથવા સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડૉક્ટર્સની સલાહ લઈ તે મુજબની દવા કરવી જરૂરી છે. પરિવારમાં કોઈ એક વ્યક્તિ બીમાર હોય તો અન્ય તેની સાથે અન્ય લોકો પણ માસ્કનો ઉપયોગ કરે તે હિતાવહ છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગરમીને લીધે સીઝનલ રોગચાળાના પડકારને પહોંચી વળવા માટે ઘનિષ્ઠ પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 56 મેલેરિયા ફિલ્ડવર્કર, 415 અર્બન આશા અને 115 વી.બી.ડી વોલેન્ટીયર્સ દ્વારા તા. 29 એપ્રિલથી તા. 5 મે દરમિયાન અનેક ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી અને 435 ઘરોમાં ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. જેમાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સબબ બાંધકામ સાઇટ, સ્કૂલ, કોલેજો સહિત અંદાજીત 625 પ્રિમાઈસીસમાં તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંકમાં 356 તો કોર્મશીયલમાં 145 આસામીને નોટીસ ફટકારવામાં આવી હતી. શહેરમાં તાપમાનનો પારો 42 ડીગ્રી સુધી પહોંચી જતા ગરમીના કારણે થતા ચક્કર આવવા, માથું દુઃખવું જેવા કેસોમાં પણ ખાસ્સો વધારો નોંધાયો છે. જોકે, રાહતની વાત છે કે, હિટસ્ટ્રોક તેમજ લૂ લાગવાના ખાસ કોઈ બનાવ નોંધાયા નથી તેમ છતાં રાજકોટ  રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હોવાથી સાવચેતીના ભાગરૂપે તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code