વડોદરામાં કોરોના વકરતા અન્ય જિલ્લામાંથી બોલાવાયા 250 ડોકટર અને નર્સ
અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને સુરત સહિત રાજ્યભરમાં કોરોનાએ અજગર ભરડો લીધો હોય તેમ પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ તંત્ર દ્વારા સંક્રમણ અટકાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા અને દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. દરમિયાન અન્ય જિલ્લામાંથી 50 તબીબો અને 200 નર્સને વડોદરા બોલાવવામાં આવ્યાં છે. જે જિલ્લામાં કોરોનાના કેસ ઓછા છે તેવા જિલ્લામાંથી તબીબો અને નર્સને બોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના શહેરી વિસ્તારોમાં કોરોનાના કેસ વધતા સંક્રમણ અટકાવવા માટે પાંચ ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. વડોદરા શહેર માટે ડો. વિનોદ રાવને જવાબદારી આપી છે. દરમિયાન વિનોદ રાવે આજે 12 સરકારી અને ખાનગી નર્સીગ કોલેજના આચાર્ય સાથે તાકીદની બેઠક બોલાવી છે. જેમાં કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને, નર્સિંગ સહાયક યોજના હેઠળ નર્સિંગ સ્ટાફની ભરતી માટેની પ્રકીર્યા હાથ ધરવા અંગે ચર્ચા કરશે. દરમિયાન કોરોનાના દર્દીઓને તાકીદે સારવાર મળી રહે તે માટે વડોદરાની આજુબાજુના જિલ્લા કે જ્યા કોરોનાના બહુ કેસ ના હોય ત્યાથી મેડીકલ સ્ટાફને વડોદરામાં બોલાવ્યા છે. વડોદરા શહેરમા ડેપ્યુટેશન ઉપર અન્ય જિલ્લામાંથી 50 ડોકટર, 200 નર્સને બોલાવવામાં આવ્યા છે.