રાજકોટના સીમાડે કરોડોના ખર્ચે બનાવાયેલા હીરાસર એરપોર્ટમાં અપુરતી સુવિધા, પ્રવાસીઓ પરેશાન
રાજકોટઃ શહેરથી 31 કિમી દૂર અમદાવાદ હાઈવે પર હીરાસર ગામ પાસે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું એરપોર્ટ લોકાર્પણ બાદ મહિનામાં શરૂ કરી દેવાયું છે. પરંતુ આ એરપોર્ટ પર અપુરતી સુવિધાથી પ્રવાસીઓ અકળાયા છે. પ્રવાસીઓ એવો બળાપો વ્યક્ત કરી રહ્યા છે. કે, આના કરતા તો જુનું એરપોર્ટ સારૂ હતું, કારણ કે શહેરની મધ્યમાં હતું અને તમામ સુવિધાઓ મળી રહેતી હતી. જ્યારે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ પણ એરપોર્ટ શરૂ કરવામાં ઉતાવળ કરી હોવાનું કહી રહ્યા છે.
અમદાવાદ હાઈવે પર 31 કિલોમીટર દૂર હીરાસર ગામ ખાતે બનેલા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈ અપૂરતી સુવિધા હોવાનો વિવાદ ચાલી રહ્યો છે. રાજકોટ એવિએશન કમિટીના સભ્ય અને ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન વી.પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે આ એરપોર્ટ શરૂ કરવામાં થોડી ઉતાવળ જરૂર થઈ ગઈ છે. જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં સંપૂર્ણ સુવિધા સાથે શરૂ કર્યું હોત તો મુસાફરોને અગવડતા ન સર્જાઈ હોત, પરંતુ સુવિધામાં રહેલા અભાવ અંગે એરપોર્ટ ડિરેક્ટર અને એવિએશન કમિટીના વડાને રજૂઆત કરી તાત્કાલિક નિરાકરણ આવે તેવી રજુઆત કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હીરાસર ગામ પાસે 2030 એકર જેટલી વિશાળ જગ્યામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બની રહ્યું છે. કુલ ચાર ફેઝમાં કામ થવાનું છે. પ્રથમ ફેઝ બાદ બીજા, ત્રીજા અને ચોથા ફેઝનું કામ કરવામાં આવશે. હાલમાં થોડી અગવડતા મુસાફરોને જરૂર પડી રહી છે. આ બાબતે સુવિધામાં રહેલા અભાવ અંગે એરપોર્ટ ડિરેક્ટર અને એવિએશન કમિટીના વડાને રજૂઆત કરી તાત્કાલિક નિરાકરણ આવે એવી માગ કરી છે. આ એરપોર્ટ સંપૂર્ણ બની ગયા બાદ એનો સમાવેશ ટોપ 10માં થશે એવી ખાતરી છે.
તેમણે ઉમેર્યું હતુ કે, રાજકોટના હીરાસર એરપોર્ટનું લોકાર્પણ 27 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. હજુ સુધી કોઈ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઇ નથી. અને લગભગ એપ્રિલ મહિનામાં શરૂ થશે. માટે કદાચ ઇન્ટરનેશનલ એરપોર્ટ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં શરૂ કર્યું હોત તો સારું હતું. આ એરપોર્ટ શરૂ કરવામાં થોડી ઉતાવળ થઈ ગઈ છે. રાજકોટથી અમદાવાદ સિક્સલેન હાઇવેમાં રાજકોટથી કુવાડવા અને હીરાસર સુધીનું કામ જલદીથી પૂર્ણ કરી દેવું જોઈએ.