નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદા પર થયેલી હિંસા અંગે બાંગ્લાદેશની ટિપ્પણીઓને ભારતે સખત શબ્દોમાં નકારી કાઢી છે. ભારતે કહ્યું કે આ ટિપ્પણી ખોટી છે અને તેનો હેતુ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચાર પરથી ધ્યાન હટાવવાનો છે.
બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં તાજેતરમાં થયેલી હિંસામાં ભારતને મુસ્લિમ લઘુમતીઓનું રક્ષણ કરવાની અપીલ કરી હતી. આ હિંસામાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા અને કેટલાક લોકો ઘાયલ થયા છે. બાંગ્લાદેશની ટિપ્પણીને નકારી કાઢતા, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, બાંગ્લાદેશે ભારત પર “ખોટી અને પાયાવિહોણી” ટિપ્પણીઓ કરવાને બદલે તેના દેશમાં રહેતા લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.