Site icon Revoi.in

ભારત પાસે પર્યાપ્ત તેલ ભંડાર : કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું છે કે, સરકાર છેલ્લા 2 અઠવાડિયાથી પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, છેલ્લા કેટલાક વર્ષોમાં દેશની પુરવઠા વ્યવસ્થામાં વૈવિધ્યીકરણ કરવામાં આવ્યું છે.  ઈરાની સંસદ દ્વારા હોર્મુઝ સ્ટેટ બંધ કરવાના નિર્ણય બાદ હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, ભારત પાસે પર્યાપ્ત તેલ ભંડાર છે. બળતણનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સરકાર દરેક આવશ્યક પગલા લેશે.

હરદીપસિંહ પુરીએ ખાતરી આપતા કહ્યું કે, “દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ) પાસે ઘણા અઠવાડિયા સુધીનો પુરવઠો છે અને અનેક માર્ગો પરથી ઊર્જા પુરવઠો મળતો રહેશે. અમે અમારા નાગરિકોને ઇંધણના પુરવઠાની સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લઈશું.”

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ/પર્શિયન ગલ્ફની ઉત્તર બાજુએ ઈરાન આવેલું છે, જેમાંથી સાઉદી અરેબિયા અને UAE જેવા મુખ્ય નિકાસકાર દેશોમાંથી દરરોજ 20 મિલિયન બેરલ તેલ પસાર થાય છે. ઈરાને ધમકી આપી હતી કે જો અમેરિકા ઈઝરાયલ સાથેના સંઘર્ષમાં હસ્તક્ષેપ કરશે તો તે આ માર્ગને અવરોધિત કરશે. મધ્ય પૂર્વમાં વ્યાપક સંઘર્ષની અસર સાઉદી અરેબિયા, ઇરાક, કુવૈત અને UAEના તેલ પુરવઠા પર થવાની ધારણા છે, જેના કારણે તેલના ભાવમાં તીવ્ર વધારો થશે. યમનના હુથી બળવાખોરોએ પહેલેથી જ ચેતવણી આપી દીધી છે કે જો અમેરિકા ઈરાન પર હુમલો કરશે તો તેઓ જહાજો પર ફરીથી હુમલાઓ શરૂ કરશે, તેથી શિપિંગને પણ અસર થઈ શકે છે.

ભારત તેની જરૂરિયાતનું લગભગ 85 ટકા ક્રૂડ ઓઇલ આયાત કરે છે અને તેલના ભાવમાં વધારાને કારણે તેના તેલ આયાત બિલમાં વધારો થાય છે અને ફુગાવાનો દર વધે છે, જે આર્થિક વિકાસને નુકસાન પહોંચાડે છે. વિદેશી હૂંડિયામણના મોટા ખર્ચને કારણે અમેરિકન ડોલર સામે રૂપિયો પણ નબળો પડે છે. જોકે, ભારતે રશિયા તેમજ અમેરિકામાંથી આયાત વધારીને અને વ્યૂહાત્મક અનામતો દ્વારા સ્થિતિસ્થાપકતા બનાવીને તેના તેલ સ્ત્રોતોને વૈવિધ્યસભર બનાવ્યા છે. તેલ અને ગેસ ક્ષેત્રમાં માળખાગત સીમાચિહ્નો પર પ્રકાશ પાડતા, પુરીએ અગાઉ કહ્યું હતું કે, દેશમાં હવે 23 આધુનિક ઓપરેશનલ રિફાઇનરીઓ છે. જેની કુલ ક્ષમતા વાર્ષિક 257 મિલિયન મેટ્રિક ટન પેટ્રોલિયમ ઉત્પાદનોનું ઉત્પાદન કરવાની છે.