- ચીનની વધતી દાદાગીરી સામે સમગ્ર દુનિયામાં રોષ
- ચીન સામે તાઇવાન અને ધર્મગુરુ દલાઈ લામાએ મિલાવ્યા હાથ
- આગામી વર્ષે દલાઈ લામા તાઈવાનની મુલાકાત લેશે
ચીનની અવળચંડાઇ સામે ભારત જ નહિ દુનિયાના બાકી દેશોમાં પણ રોષ ફેલાઇ રહ્યો છે.
તાઇવાન પણ ચીનના આ વલણથી નારાજ છે અને તેની સામે બાંયો ચઢાવી રહ્યું છે. ચીન સામે હવે તાઈવાન અને તિબેટીયનોના ધર્મગુરુ દલાઈ લામાએ પણ હાથ મિલાવ્યા છે. દલાઈ લામા અને બીજા તિબેટીયનોને ભારતે આશ્રય આપ્યો છે.
ચીન સામે મોરચો માંડવા માટે દલાઈ લામા આગામી વર્ષે તાઈવાનની મુલાકાત લેવા ઇચ્છુક છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર દલાઈ લામાએ આજે જાહેરાત કરી હતી કે એક સંગઠન એ આપેલા આમંત્રણ બાદ હું આગામી વર્ષે તાઇવાનની યાત્રા માટે ઇચ્છુંક છું.
બીજી તરફ તાઈવાને કહ્યુ છે કે, દલાઈ લામા દુનિયાના પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ છે અને તેમને નોબેલ પીસ પ્રાઈઝ મળેલુ છે.દલાઈ લામાના સમર્થકો તાઈવાનમાં પણ છે અને તેઓ ઈચ્છે છે કે, દલાઈ લામા ઉપદેશ આપવા માટે તાઈવાનની મુલાકાત લે.
તાઈવાન સરકારના પ્રવક્તાએ ભારત અને ચીન વચ્ચેના સંઘર્ષમાં શહીદ થયેલા તિબેટના એક સૈનિકને શ્રધ્ધાંજલિ પણ આપી હતી અને દુખ વ્યક્ત કર્યુ હતુ.
આ પહેલા દલાઈ લામા છેલ્લે 2009માં તાઈવાન ગયા હતા.જોકે શી જિનપિંગે ચીનમાં સત્તા સંભાળ્યા બાદ તેઓ તાઈવાન પહેલી વખત જશે.
(સંકેત)