ઈરાનનો કુવૈતના પાવર અને વોટર પ્લાન્ટ પર હુમલો, એક ભારતીયનું મોત
તહેરાન, 30 માર્ચ 2026: મિડલ ઈસ્ટમાં વધી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે ઈરાન દ્વારા કુવૈતના વીજળી અને પાણીના ડિસેલિનેશન પ્લાન્ટ પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં એક ભારતીય કર્મચારીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. કુવૈતી સત્તાધીશોના જણાવ્યા અનુસાર, આ હુમલામાં પ્લાન્ટની ઈમારતને પણ મોટું નુકસાન થયું છે.
અલ જઝીરા અને સીબીએસ ન્યૂઝના અહેવાલ મુજબ, કુવૈતના ઉર્જા મંત્રાલયે સોમવારે(30 માર્ચ) એક નિવેદનમાં જણાવ્યું હતું કે “ઈરાને દેશના એક મહત્વપૂર્ણ પાવર અને વોટર ડિસેલિનેશન પ્લાન્ટની સર્વિસ બિલ્ડિંગ પર હુમલો કર્યો છે.” હુમલા બાદ સ્થિતિને નિયંત્રણમાં લેવા અને કામગીરી રાબેતા મુજબ કરવા માટે તાત્કાલિક ઇમરજન્સી ટીમો રવાના કરવામાં આવી છે.
કુવૈત રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર, રવિવારે(29 માર્ચ) સાંજે કુવૈતના આકાશમાં 14 મિસાાઈલ અને 12 ડ્રોન જોવામાં આવ્યા હતા. જેમાંથી કેટલાકે સૈન્ય કેમ્પને નિશાન બનાવ્યા હતા, જેમાં 10 સૈનિકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જોકે, ઈરાન તરફથી હજુ સુધી આ હુમલા અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ગયા મહિનાની 28 ફેબ્રુઆરીથી અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે શરૂ થયેલું યુદ્ધ હવે વધુ આક્રમક બની રહ્યું છે. ઈરાની સંસદના સ્પીકરે ચેતવણી આપી છે કે, જો અમેરિકા ઈરાન પર જમીની હુમલો કરશે, તો અમેરિકાના સાથી દેશો પરના હુમલા તેજ કરવામાં આવશે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ દક્ષિણ લેબનોનમાં હુમલાનો વ્યાપ વધારવાની જાહેરાત કરી છે. આ લડાઈમાં એક અમેરિકન મૂળના ઈઝરાયેલી સૈનિકનું પણ મોત થયું છે.
આ એવો પ્લાન્ટ છે જ્યાં સમુદ્રના ખારા પાણીમાંથી મીઠું અને અન્ય ખનિજો અલગ કરી તેને પીવાલાયક બનાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં પુષ્કળ ઉર્જાની જરૂર પડતી હોવાથી તેને અવારનવાર પાવર પ્લાન્ટ સાથે જોડવામાં આવે છે.


