Site icon Revoi.in

ઈરાન-ઈઝરાય યુદ્ધઃ 72 કલાકમાં 200થી વધારે વ્યક્તિઓના મોત

Social Share

ઈરાન પર ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલાને 72 કલાક વીતી ગયા છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 406 ઈરાની નાગરિકો અને સૈનિકો માર્યા ગયા છે, જ્યારે 654 લોકો ઘાયલ થયા છે. જોકે, ઈરાને આ આંકડાને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે ફક્ત 224 લોકોના મોત થયા છે, જેમાંથી મોટાભાગના નાગરિકો છે. જ્યારે, ઈરાની જવાબી હુમલાઓમાં ઈઝરાયલમાં 16 લોકો માર્યા ગયા છે અને ડઝનેક ઘાયલ થયા છે.

ઈઝરાયલે દાવો કર્યો છે કે તેણે તેના દેશથી તેહરાન સુધી એક ‘હવાઈ કોરિડોર’ બનાવ્યો છે, જેના દ્વારા તે હવે કોઈપણ અવરોધ વિના તેહરાન સુધી હવાઈ હુમલા કરી શકે છે. આ કોરિડોરનો ઉપયોગ કરીને, ઈઝરાયલી વાયુસેનાએ ઈરાનના મશહદ એરપોર્ટ પર 2,300 કિલોમીટર દૂર એક રિફ્યુઅલિંગ વિમાનને નિશાન બનાવ્યું અને તેને સંપૂર્ણપણે નાશ કર્યો.

ઈઝરાયલે ઈરાનના નાન્ટેસ, ઈસ્ફહાન અને ફોર્ડો પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે. આ હુમલાઓમાં યુરેનિયમ સંવર્ધન મશીનોને ભારે નુકસાન થયું છે. તેહરાન અને અન્ય શહેરોમાં લશ્કરી ઠેકાણા, મિસાઈલ ઉત્પાદન કેન્દ્રો અને રિફાઈનરીઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. કરમાનશાહ અને તબરીઝમાં મિસાઇલ બેઝનો નાશ કરવામાં આવ્યો છે, જ્યારે તેહરાનના મેહરાબાદ એરપોર્ટને પણ નુકસાન થયું છે.

ઇઝરાયલી હુમલાઓમાં ઈરાનનું ટોચનું લશ્કરી અને ગુપ્તચર નેતૃત્વ લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યું છે. માર્યા ગયેલા વરિષ્ઠ અધિકારીઓમાં મેજર જનરલ મોહમ્મદ બાઘેરી (આર્મી ચીફ), મેજર જનરલ હુસૈન સલામી (IRGC કમાન્ડર), મેજર જનરલ ગુલામ અલી રાશિદ, જનરલ અમીર અલી હાજીઝાદેહ, જનરલ ગુલામરેઝા મેહરાબીઓ, જનરલ મહેદી રબ્બાની, બ્રિગેડિયર જનરલ મોહમ્મદ કાઝેમી અને જનરલ હસન મોહકિક (IRGC ગુપ્તચર ચીફ અને ડેપ્યુટી) અને અલી શામખાની (સર્વોચ્ચ નેતાના સલાહકાર)નો સમાવેશ થાય છે. ઉપરાંત, ઇઝરાયલી હુમલાઓમાં ઘણા અગ્રણી ઈરાની પરમાણુ વૈજ્ઞાનિકો માર્યા ગયા છે, જેમાં મોહમ્મદ મહેદી તેહરાની, ફેરેદુન અબ્બાસી-દાવાની, અબ્દુલહમીદ મિનોચેહર, અહમદરેઝા ઝોલફાઘરી, અમીરહુસૈન ફકી, અલી બકાઈ કરીમી, મન્સૂર અસગરી અને સઈદ બોર્જીનો સમાવેશ થાય છે.

ઈરાને ઈઝરાયલ પર 100-200 બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન છોડ્યા હતા. આમાંથી કેટલાક આયર્ન ડોમને ટાળવામાં સફળ રહ્યા અને તેલ અવીવમાં ઘણી ઇમારતો નાશ પામી છે. ઈરાને મુખ્યત્વે તેલ અવીવ, રામત ગાન, બાટ યામ અને રેહોવોટને નિશાન બનાવ્યા હતા. તેહરાન ટાઈમ્સ અનુસાર, ઈરાને સોમવારે વહેલી સવારે કબજા હેઠળના વિસ્તારો પર મિસાઈલ છોડ્યા. આમાં હાઈફા, કિરયાત ગેટ, નેગેવ રણ અને ડિમોના સંકુલનો સમાવેશ થાય છે. હાઈફા બંદર પર હુમલા બાદ આગ ફાટી નીકળી હતી. ઈરાની સેનાએ વેઈઝમેન સાયન્સ ઇન્સ્ટિટ્યૂટને પણ નિશાન બનાવ્યું હતું. ઉપરાંત, 150 થી વધુ લશ્કરી અને ગુપ્તચર મથકો પર હુમલો કરવામાં આવ્યો હતો.

ઈરાની સેનાએ આ હુમલામાં “શાહેદ હજ કાસિમ” મિસાઈલનો ઉપયોગ કર્યો હતો, જેનું વજન 660 થી 1540 પાઉન્ડ હતું. જો કે, મોટાભાગની મિસાઈલો ઈઝરાયલી અને અમેરિકન સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા નાશ પામી હતી. તેમ છતા, કેટલીક મિસાઈલો લશ્કરી મથકો સુધી પહોંચવામાં સફળ રહી હતી. ઈરાની હુમલાઓ પછી ઇઝરાયલે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. તેલ અવીવ, જેરુસલેમ અને હાઇફામાં હવાઈ હુમલાના સાયરન વાગવા લાગ્યા, જેના કારણે લાખો લોકોને બંકરોમાં આશ્રય લેવાની ફરજ પડી. પરિસ્થિતિ હજુ પણ તંગ છે અને પ્રાદેશિક યુદ્ધની શક્યતા વધી રહી છે.