Site icon Revoi.in

ઈઝરાયના હુમલામાં ઈરાની કમાન્ડર અલી શાદમાનીનું મોત

Social Share

ઈરાન-ઈઝરાયલ વચ્ચે  છેલ્લા કેટલાક દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન ઇઝરાયલી સેના (IDF) એ મંગળવારે દાવો કર્યો હતો કે તેણે એક વરિષ્ઠ ઈરાની કમાન્ડર અલી શાદમાનીને મારી નાખ્યો છે. ઇઝરાયલે તેમને યુદ્ધ દરમિયાન સેનાના વડા તરીકે વર્ણવ્યા હતા. ઇઝરાયલે ‘ઓપરેશન રાઇઝિંગ લાયન’ હેઠળ ઈરાનના મેજર જનરલ ગુલામ અલી રશીદને પણ મારી નાખવાનો દાવો કર્યો હતો.

ઈરાનની સમાચાર એજન્સી તસ્નીમ અનુસાર, રાશિદના મૃત્યુ પછી અલી શાદમાનીને નવા લશ્કરી કમાન્ડર બનાવવામાં આવ્યા હતા. તેમને ‘ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટર’ની કમાન સોંપવામાં આવી હતી. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે અને હવે બંને દેશો વચ્ચે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

અલી શાદમાન ઈરાનના કટોકટી લશ્કરી કમાન્ડર હતા. તાજેતરમાં તેમને સમગ્ર સેનાના વડા બનાવવામાં આવ્યા હતા, અલી રાશિદ, જે તેમના પહેલા કમાન્ડર હતા, તેમનું 13 જૂને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં મૃત્યુ થયું હતું.

શાદમાનીએ ઈરાની સેના અને રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) બંનેનો હવાલો સંભાળ્યો હતો. તેમને ઈરાનના સૌથી મહત્વપૂર્ણ અને શક્તિશાળી લશ્કરી અધિકારી માનવામાં આવતા હતા. તેમના મૃત્યુને ઈરાની સેના માટે મોટું નુકસાન ગણાવવામાં આવી રહ્યું છે. દરમિયાન મંગળવારે તેલ અવીવ અને જેરુસલેમમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા. AFP અનુસાર, ઇઝરાયલના ઘણા ભાગોમાં સાયરન વાગવા લાગ્યા, ત્યારબાદ સેનાએ કહ્યું કે ઇરાનથી મિસાઇલો છોડવામાં આવી છે.

ઇઝરાયલી સેનાએ એક નિવેદનમાં કહ્યું, “થોડા સમય પહેલા, ઇરાનથી ઇઝરાયલ તરફ મિસાઇલો આવી રહી હોવાની માહિતી મળ્યા બાદ ઘણા વિસ્તારોમાં સાયરન વગાડવામાં આવ્યા હતા. સેનાએ એમ પણ કહ્યું હતું કે વાયુસેના મિસાઇલોને રોકવામાં અને જરૂર પડ્યે જવાબી કાર્યવાહી કરવામાં રોકાયેલી છે.” લગભગ 20 મિનિટ પછી, સેનાએ બીજું નિવેદન બહાર પાડ્યું, જેમાં કહેવામાં આવ્યું હતું કે હવે લોકો ઘણા વિસ્તારોમાં સુરક્ષિત સ્થળોએથી બહાર આવી શકે છે. સેનાએ એમ પણ કહ્યું કે શોધ અને બચાવ ટીમોને તે સ્થળોએ મોકલવામાં આવી છે જ્યાં મિસાઇલ પડવાની જાણ થઈ હતી.