
- આતંકીઓ-સુરક્ષા દળો વચ્ચે અથડામણ
- વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ
- રાજૌરીમાં બની ઘટના
શ્રીનગર: જમ્મુ કાશ્મીર દેશનો એવો વિસ્તાર છે કે જ્યાં દુશ્મન દેશની નજર હંમેશા રહેતી હોય છે, આતંકીઓ દ્રારા અહીં નાપાક ઈરાદાઓને અંજામ આપવાના સતત પ્રયત્નો કરવામાં આવતા હોય છે.ત્યાં ફરી એકવાર જમ્મુ -કાશ્મીરના રાજૌરી જિલ્લામાં શુક્રવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું.
અધિકારીઓએ જણાવ્યું કે, ગુપ્ત માહિતી મળ્યા બાદ પોલીસ અને સુરક્ષા દળોએ જિલ્લાના થાનામંડી જંગલ વિસ્તારમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સુરક્ષા દળો આતંકીઓ સુધી પહોંચ્યા બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. છેલ્લો રિપોર્ટ આવે ત્યાં સુધી એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. રાજૌરીના પોલીસ અધિક્ષક શીમા નબી કસ્બા, જે ઓપરેશન પર નજર રાખી રહ્યા છે, તેમણે પણ આ વિસ્તારમાં એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે.
જમ્મુ અને કાશ્મીરના સાંબાના રાજપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ધગવાલના સરથિયાન ગામમાં સર્ચ દરમિયાન આજે સવારે એક પેકેટમાં બે પિસ્તોલ, પાંચ મેગેઝીન, 122 રાઉન્ડ અને એક સાયલેન્સર મળી આવ્યા હતા. આ અંગે માહિતી આપતા આઇજીપીએ કહ્યું કે, હાલમાં આ મામલામાં તપાસ કરવામાં આવી રહી છે. બે દિવસ પહેલા જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. આ ઘટના બાદથી જમ્મુ પોલીસ સતર્ક થઇ ગઈ છે અને ઘણા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
આ સિવાય હાલમાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના આતંકી મુઝમ્મિલ શેખ ઉર્ફે અબુ માવિયાની જમ્મુ-કાશ્મીરના હાજીન બાંદીપોરાથી ધરપકડ કરી હતી. તેની પાસેથી હથિયારો અને દારૂગોળો પણ લઈ જવામાં આવ્યો હતો. એક નિવેદનમાં એક પ્રવક્તાએ કહ્યું કે પોલીસને કેટલાક સ્રોત પાસેથી જાણવા મળ્યું કે હાજીન શહેરમાં ત્રાસવાદીઓની હિલચાલ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે.