નફો કરતા અમદાવાદના સરદાર પટેલ અરપોર્ટને કોરોના કાળમાં 94 કરોડનું નુકશાન
અમદાવાદઃ રાજ્યમાં કોરોના કાળમાં ધંધા-રોજગારને વ્યાપક નુકશાન થયુ હતું. જેમાં જાહેર પરિવહન સેવાને પણ નુકશાન થયું હતું. ગુજરાતના વિમાની મથકોને પણ રૂપિયા 212 કરોડનું નુકસાન ભોગવવું પડ્યું હતું. તેમાં અમદાવાદ એરપોર્ટને સૌથી વધુ રૂ. 94 કરોડનું નુકસાન થયુ હતું. અગાઉના વર્ષમાં અમદાવાદ એરપોર્ટને રૂ. 45.71 કરોડનો નફો થયો હતો. એના આગલા વર્ષે રૂ. 52 કરોડનો નફો થયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ 2020-21 વર્ષમાં ગુજરાતમાં પોરબંદર અને કંડલા એરપોર્ટમાં સામાન્ય નફા સિવાય તમામ એરપોર્ટને નુકસાન છે. 2018-19 અને 2019-20માં માત્ર અમદાવાદ એરપોર્ટ સિવાય તમામ એરપોર્ટ્સ નુકસાનીમાં હતા. લોકસભામાં નાગરિક ઉડ્ડ્યન રાજ્ય મંત્રી દ્વ્રારા આ માહિતી આપવામાં આવી હતી. દેશમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સંચાલિત 75 ટકાથી વધારે એરપોર્ટને કોરોનાકાળમાં નુકસાનીનો સામનો કરવો પડ્યો છે.
કોરોનામાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇ્ટ્સ પર મુકાયેલા પ્રતિબંધની મોટી અસર જોવા મળી હતી. રાજ્યના હવાઇમથકોએથી 2019-20માં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મળી કુલ 1.42 કરોડ લોકોએ મુસાફરી કરી હતી. 2020-21માં આંકડો સાવ ઘટીને 46 લાખ પર એટલે કે ત્રણ ગણો નીચે આવી ગયો હતો. 2020-21ના ચાલું વર્ષમાં પ્રથમ ત્રણ મહિનામાં 8.86 લાખ લોકો મુસાફરી કરી ચૂક્યા છે. અમદાવાદ એરપોર્ટ પરથી 2019-20માં 1.14 કરોડ, 202-21માં 36 લાખ જ્યારે ચાલું વર્ષે પહેલાં ત્રણ મહિનામાં 7 લાખ લોકોએ મુસાફરી કરી છે.