
જમ્મુ કાશ્મીર: કુપવાડામાં સુરક્ષાદળોએ ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી બે આતંકવાદીઓને ઠાર માર્યા
નવી દિલ્હીઃ ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના તંગધાર વિસ્તારમાં આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ સતર્ક સુરક્ષા દળોને આ અંગેની જાણ થતાં જ તેમણે ઘૂસણખોરોને ઘેરી લીધા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, નિયંત્રણ રેખાના આગળના વિસ્તારમાં ચારથી પાંચ આતંકીઓ ઘેરાવામાં આવ્યાં હતા. સુરક્ષા દળોએ ઘૂસણખોરી કરી રહેલા બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. હજુ ઓપરેશન ચાલુ છે.
દરમિયાન જમ્મુમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા માટે બોલાવવામાં આવેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં, 16 કોર્પ્સના GOC લેફ્ટનન્ટ જનરલ નવીન સચદેવાએ કહ્યું કે રાજોરી, પૂંચ અને બસંતગઢમાં આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓને ખતમ કરવામાં આવશે. આ માટે સુરક્ષા એજન્સીઓ વ્યૂહરચના મુજબ કામ કરી રહી છે. બેઠકમાં, વરિષ્ઠ સેના અને પોલીસ અધિકારીઓએ રાજોરી-પૂંચમાં વધી રહેલી આતંકવાદી ઘટનાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. રાજોરી-પૂંચ ઉપરાંત ઉધમપુરના બસંતગઢમાં થયેલા આતંકવાદી હુમલાની પણ ચર્ચા થઈ હતી. ખાસ કરીને પૂંચમાં એરફોર્સના કાફલા પર થયેલા હુમલા અને થન્નામંડીમાં એક સરકારી કર્મચારીની હત્યા અંગે ચર્ચા કરવામાં આવી હતી. એડીજીપી જમ્મુ આનંદ જૈન સહિત ગુપ્તચર એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓએ પણ બેઠકમાં ભાગ લીધો હતો.