
કંધાર પ્લેન હાઈજેક કેસઃ મુખ્ય આતંકવાદી પૈકી એકની પાકિસ્તાનમાં ગોળીમારી કરાઈ હત્યા
નવી દિલ્હીઃ લગભગ 20 વર્ષ પહેલા ભારતીય વિમાન IC-814ને હાઇજેક કરવાની ચકચારી ઘટનામાં સંડોવાયેલા આતંકવાદીઓ પૈકીનો એક ઝહૂર મિસ્ત્રી ઉર્ફે ઝાહિદ અખુંદની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાનના કરાચીમાં આતંકવાદી ઝહૂર મિસ્ત્રીને બે અજાણ્યા શખ્સોએ ઠાર માર્યો હોવાનું જાણવા મળે છે. બાઇક પર સવાર બે શખ્સો ઝહૂર મિસ્ત્રીના ઘરમાં ઘુસી ગયા હતા અને ગોળીબાર કરીને તેને ઠાર માર્યો હતો. હુમલાખોરોએ મિસ્ત્રીના ઘરમાં નિશાન બનાવીને ઘૂસીને તેમને ગોળી મારી દીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જોકે બાઇક સવાર લોકોના ચહેરા ઢાંકેલા હતા. જેથી તેમની ઓળખ થઈ શકી નથી. આ હાઈજેકને અંજામ આપનારા પાંચ આતંકીઓમાંથી હવે માત્ર બે જ આતંકીઓ જીવિત બચ્યા છે. આ બંને હાલમાં પાકિસ્તાનમાં છે અને વૈશ્વિક આતંકવાદી સંગઠનના લીડર છે.
આ હત્યાથી જૈશના આતંકવાદીઓમાં ખળભળાટ મચી ગયો છે. આ હત્યાકાંડથી ગુપ્તચર એજન્સી ISI પણ આશ્ચર્યચકિત છે. પાકિસ્તાની મીડિયા પણ ઘટનાનું કવરેજ કરવાથી દૂર રહ્યાં હતા. જો કે, પાકિસ્તાનની એક ચેનલે હત્યાના ન્યૂઝ બતાવ્યાં હતા. પરંતુ આતંકવાદીનું નામ બદલી નાખવામાં આવ્યું હતું.
આતંકવાદી ઝહૂર મિસ્ત્રી ઉર્ફે ઝાહિદ અખુંદના મોત સાથે, ઘણા સમયથી ન્યાયની શોધમાં રહેલા રૂપિન કાત્યાલના પરિવારને આખરે ન્યાય મળ્યો છે. 25 ડિસેમ્બર, 1999ના રોજ કાઠમંડુથી દિલ્હી પરત ફરી રહેલા મુસાફર રૂપિન કાત્યાલની ઝહૂરે નિર્દયતાથી હત્યા કરી હતી. આટલું જ નહીં આતંકવાદીઓએ તેની હત્યા બાદ તેનો મૃતદેહ યુએઈમાં જહાજની બહાર ફેંકી દેવામાં આવ્યો હતો..