Site icon Revoi.in

સ્વ. વિજય રૂપાણીના પાર્થિવ દેહને સન્માનભેર પરિવારને સોંપાતા રાજકોટ લઈ જવાયો

Social Share

અમદાવાદ:  શહેરના એરપોર્ટ નજીક આઇજીપી કમ્પાઉન્ડમાં ગઈ તા. 12મીને ગુરૂવારે લંડન જતું પ્લેન તૂટી પડતા 230 પ્રવાસીઓ અને સ્ક્રુ મેમ્બર સહિત 241ના મોત નિપજ્યા હતા. જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો સમાવેશ થાય છે. તમામ મૃતકોના ડીએનએ મેચ થયા બાદ તેમના પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સ્વ વિજય રૂપાણીનો પાર્થિવદેહ તેમના પરિવારજનોને રાજકીય સન્માન સાથે સોંપવામાં આવ્યો હતો. રૂપાણીના ધર્મપત્ની અંજલિબેન તથા પુત્ર ઋષભ અને પુત્રી સહિતના પરિવારજનો  સ્વ.રૂપાણીના પાર્થિવ દેહનો સ્વીકાર કર્યો હતો.  મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓ પરિવારને સાંત્વના આપવા હાજર રહ્યા હતા,

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે અંતિમ સફરે નીકળશે. આજે સવારે 11 વાગ્યાની આસપાસ તેમના પરિવારને વિજય રૂપાણીનો પાર્થિવ દેવ રાજકીય સન્માન સાથે સોંપવામાં આવ્યો હતો. બાદ 12 વાગ્યાની આસપાસ હવાઈ માર્ગેથી પરિવાજનો મૃતદેહ લઈને રાજકોટ જવા રવાના થયા હતા. આજે સાંજે 4થી 5 વાગ્યા સુધી વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રખાશે. 5 વાગ્યા પછી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા નીકળશે, અને રામનાથ પરા સ્મશાન ગૃહમાં અગ્નિદાહ સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ પંચમહાભૂતમાં વિલિન થઈ જશે.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર આજે સોમવારે મોડી સાંજે રાજકોટમાં કરવામાં આવશે. વિજય રૂપાણી 12 જૂનના રોજ દીકરીને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. તેઓ એર ઇન્ડિયા પ્લેનમાં જઇ રહ્યા હતા તે જ પ્લેન ક્રેશ થતા તેમનું મૃત્યુ થયું હતું. સ્વ. રૂપાણીના પાર્થિવદેહના રવિવારે DNA સેમ્પલ મેચ થયા હોવાની પુષ્ટી સિવિલ હોસ્પિટલ સત્તાધીશોએ કરી છે. આજે સવારે રૂપાણીના ધર્મપત્ની અંજલિબેન તથા પુત્ર ઋષભ અને પુત્રી સહિતના પરિવારજનોએ અમદાવાદ સિવિલ હોસ્પિટલથી વિજય રૂપાણીનો પાર્થિવદેહનો સ્વીકાર કર્યો હતો. ગુજરાત સરકારે આજે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. વિજય રૂપાણીની અંતિમ યાત્રામાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  સહિત મહાનુભાવો, રાજકીય નેતાઓ જોડાશે