
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાને લીધે મધ્યાહન ભોજન યોજનામાં બાળકોને ભોજન કે નાસ્તો આપવામાં આવતો નહતો. અથવા તો તૈયાર ફુડ પેકેટ આપવામાં આવતા હતા. હવે નવા શૈક્ષણિક સત્રથી તમામ પ્રાથમિક શાળાઓમાં બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવશે. નવા શૈક્ષણિક સત્ર વર્ષ-2022-23નો પ્રારંભ તારીખ 13મી, સોમવારથી થનાર છે. ત્યારે નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસથી જ ધોરણ-1થી 8ના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન મળી રહે તેવું આયોજન કરવાની સુચના મધ્યાહન ભોજન યોજનાના કમિશ્નરે આદેશ કર્યો છે.
નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન મળી રહે તે માટેનું આયોજન કરવાની સુચના આપવામાં આવી છે. જેમાં ધોરણ-1થી 8 વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીદીઠ જરૂરી શાકભાજી, મરી મસાલા બળતણની એડવાન્સ પેશગી 8મી, જૂન પહેલાં અને અનાજ, કઠોળ અને તેલનો જથ્થો 10મી જૂન પહેલાં ઉપલબ્ધ કરાવવાનો રહેશે. સરકાર દ્વારા પ્રાથમિક શાળાના ધોરણ-1થી 8ના વિદ્યાર્થીઓને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે મધ્યાહન ભોજન અને નાસ્તો આપવામાં આવે છે. ત્યારે નવા શૈક્ષણિક સત્ર વર્ષ-2022-23નો પ્રારંભ તારીખ 13મી, સોમવારથી થનાર છે. ત્યારે નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસથી જ ધોરણ-1થી 8ના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન મળી રહે તેવું આયોજન કરવાની સુચના મધ્યાહન ભોજન યોજનાના કમિશ્નરે આદેશ કર્યો છે. જેમાં ધોરણ-1થી 5ના વિદ્યાર્થીદીઠ રૂપિયા 2.88 પ્રમાણે અને ધોરણ-6થી 8ના વિદ્યાર્થીદીઠ 4.31 પ્રમાણે શાકભાજી, મરી-મસાલા અને બળતણ સહિતની વસ્તુઓ મધ્યાહન ભોજન યોજનાના સંચાલક, કૂક અને એડવાન્સ પેશગી આપવાની રહેશે.
આ ઉપરાંત અનાજ કઠોળ અને તેલની પરમીટ મળી જાય અને આગામી 10મી, જૂન સુધીમાં જથ્થો દરેક શાળામાં પહોંચી જાય તેવી વ્યવસ્થા કરવાની રહેશે. મધ્યાહન ભોજન યોજનાના સ્ટોક મેનેજમેન્ટ પોર્ટલ ઉપર શાળાના ડાયસ કોડ, નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા એકરૂપ અને અદ્યતન હોવાની ખાતરી કરવાની રહેશે. તાલુકાદીઠ શાળાઓમાં માનદવેતન ઉપર સંચાલક કમ કૂક, કૂક કમ હેલ્પરની નિમણૂંક કરવાની રહેશે. ઉપરાંત નિમણુંક કરાયેલા કર્મચારીઓના નામ, આધારકાર્ડ, મોબાઇલ નંબર, બેન્ક એકાઉન્ટની વિગતો ઓનલાઇન સ્ટોક મેનેજમેન્ટ પોર્ટલ પર મોકલવાની રહેશે. કર્મચારીઓને વિદ્યાર્થીઓ દીઠ નિયત રકમની પેશગી એક મહિનાની આપવાની રહેશે.