
મહારાષ્ટ્રઃ સીએમ ઉદ્ધવ ઠાકરે સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાયાં, શિવસેનાના 30 ધારાસભ્યોનો બળવો
મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની મહાવિકાસ આઘાડીની મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સરકાર ઉપર ફરી એકવાર સંકટના વાદળો ઘેરાયાં છે. શિવસેનાના જ 30 જેટલા ઘારાસભ્યોએ હાલ સુરતની એક હોટલમાં રોકાયેલા છે. આ ધારાસભ્યોએ મહારાષ્ટ્રની સીએમ ઠાકરે સરકારથી નારાજ હોવાથી આ પગલુ ભર્યાનું ચર્ચાઈ રહ્યું છે. સુરતની હોટલમાં શિવસેનાના નેતા એકનાથ શિંદે સહિત 30 ધારાસભ્યો રોકાયેલા હોવાનું જાણવા મળે છે. દરમિયાન ભાજપના ધારાસભ્ય સંજટ કૂટે સુરતની હોટલમાં પહોંચ્યાં હતા. બીજી તરફ શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ ઠાકરે સરકારને બચાવવા માટે કવાયત શરૂ કરી છે અને નારાજ ધારાસભ્યોને મનાવવાની કામગીરી હાથ ધરી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર શિવસેનાના સિનિયર નેતા અને ઠાકરે સરકારના મંત્રી એકનાથ શિંદે રાજ્યસભાની ચૂંટણી અને વિધાન પરિષદની ચૂંટણી બાદ પાર્ટીથી નારાજ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. દરમિયાન એકનાથ શિંદે અને તેમના સમર્થકોએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરીને હાલ 30 જેટલા ધારાસભ્યો સુરતની એક હોટલમાં રોકાયાં છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં સરકાર ઉપર સંકટના વાદળો છવાતા શિવસેના, કોંગ્રેસ અને એનસીપીમાં બેઠકોનો દોર શરૂ થયો છે અને ડેમેજ કન્ટ્રોલ માટેની કામગીરી શરૂ કરી છે.
વર્ષ 2019 માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસના સમર્થન સાથે શિવસેનાના નેતૃત્વમાં MVA સરકારની રચના કરવામાં આવી, ત્યારે મોટાભાગના મહત્વપૂર્ણ મંત્રાલયો NCPના ખાતામાં ગયા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જ્યારે શિવસેનાના નેતાઓ આ વિસ્તારમાં વિકાસ માટે ફંડની માંગણી કરતા હતા તો ત્યાંથી પણ તેમના હાથમાં નિરાશા જ આવતી હતી. સૂત્રોનો દાવો છે કે, એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના મંત્રાલયમાં સીએમ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેની દખલગીરી વધી હતી. એકનાથ શિંદે મહારાષ્ટ્ર સરકારમાં શહેરી વિકાસ મંત્રી છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારમાં આદિત્યનું કદ વધારવા માટે એકનાથ શિંદેને સાઇડલાઇન કરવામાં આવી રહ્યા છે. દરમિયાન શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો કે શિવસેનાના કેટલાક ધારાસભ્યો અને એકનાથ શિંદેનો હાલ સંપર્ક નથી થઈ રહ્યો. બીજી તરફ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની બેઠક મળી હતી. જેમાં હાલની પરિસ્થિતિ અંગે લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્યસભાના સાંસદે કહ્યું કે મેં સાંભળ્યું છે કે અમારા ધારાસભ્યો ગુજરાત રાજ્યમાં સુરતમાં છે અને તેમને જવા દેવામાં આવી રહ્યા નથી, પરંતુ તેઓ ચોક્કસપણે પાછા આવશે કારણ કે તેઓ બધા શિવસેનાને સમર્પિત છે. મને ખાતરી છે કે અમારા તમામ ધારાસભ્યો પાછા ફરશે અને બધું સારું થઈ જશે.