
અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રવાસીઓનો ભારે ધસારો રહેતો હોય છે. ત્યારે પ્રવાસીઓને ઉત્તમ પ્રકારની સુવિધા મળી રહે તે માટે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં એરપોર્ટ ખાતેના ટર્મિનલ પર વિશાળ આધુનિક પેસેન્જર લોન્જ, ડ્યુટી ફ્રી, 24 કલાક અંગત સુરક્ષા સેવાઓ, ટર્મિનલથી પ્રાયવેટ જેટ તરફ તાત્કાલિક પહોંચવાની આસાન સુવિધાઓ, કસ્ટમ્સ અને ઇમિગ્રેશન સાથે કોમન પ્રોસેસિંગ એરીઆ જેવી સેવાઓ આવરી લેવામાં આવી છે.
આ ઉપરાંત સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કંટ્રોલ સિસ્ટમના એક્સેસ, વાઇ-ફાઇની સેવાઓ, તેમજ તમામ મુસાફરોને સુરક્ષા અને સલામતીનો અહેસાસ થાય તે હેતુથી સમગ્ર એરપોર્ટના તમામ પ્લેટફોર્મ ને સાંકળી લેતી આઇટી સિસ્ટમ, ઝીણામાં ઝીણી સિક્યોરિટી કંટ્રોલ સિસ્ટમ વગેરે સુવિધાઓથી એરપોર્ટને સજ્જ કરવામાં આવ્યું છે. 4500 ચો.ફૂટના ટર્મિનલ બિલ્ડીંગ સાથેના 12000 ચો.ફૂટમાં પથરાયેલા વિસ્તારની સમગ્ર ડિઝાઇન નયન રમ્ય બનાવવામાં આવી છે. જનરલ એવિએશનના ટર્મિનલમાં જવા માટે સમર્પિત પ્રવેશ દ્વારની સવલત ટ્રાફિકને સલામત રીતે નિયંત્રિત કરે છે. 24 કલાક કાર્યરત ઓપરેશન કંટ્રોલ સેન્ટર એરપોર્ટના સંચાલનની વિશેષતામાં ઉમેરો કરવામાં આવ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, વર્તમાન કોવિડ કાળમાં પ્રવાસીઓના સ્વાસ્થ્યની સુરક્ષા માટે કોવિડના પ્રોટોકોલના અમલ માટે ટેમ્પરેચર તપાસવા થર્મલ સ્કેનર સહિતના આધુનિક સાધનો તેમજ એક સાથે 10 સેમ્પલ લેવા માટેની લેબોરેટરી પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. પ્રતિક્ષા ક્ષેત્રમાં વોશરુમ સહિતની સવલત ઊભી કરવામાં આવી છે. મહાનુભાવોના સ્વાગત સહિતની સરભરા માટે ચોવીસ કલાક તાલીમબધ્ધ કર્મચારીઓની ટીમ ખડેપગે રહે છે. બિઝનેસ માટે આવતા પ્રવાસીઓ માટે ઓફિસ અને કોન્ફરન્સની સુવિધા ઊભી કરવામાં આવી છે. ભારતીય કલા કારીગરીનો પરિચય કરાવવા માટે વેચાણની સુવિધા સાથેની આર્ટ ગેલેરીનું આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે.