અમદાવાદઃ શહેરમાં કોરોનાને લીધે મ્યુનિ,કોર્પોરેસનની વકમાં ઘટાડો થયો છે, સાથે ખર્ચમાં વધરો થતો જાય છે. આથી મ્યુનિ.ની ખાલી તિજોરી ભરવા માટે અને બાકી મિલકત વેરો વસૂલ કરવા માટે મ્યુનિ. ટેક્સ ખાતાએ સૌપ્રથમવાર જાન્યૂઆરી મહિનાથી વ્યાજમાફી યોજના જાહેર કરી છે તેમ છતાં બાકી પ્રોપર્ટી ટેક્સ નહિ ભરતાં કોમર્શિયલ મિલકત ધારકો સામે 1લી ફેબ્રુઆરીથી સીલ ઝુંબેશ શરૂ કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના રેવન્યૂ કમિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, મ્યુનિ.ના ઇતિહાસમાં શહેરી કરદાતાઓ માટે 1લી જાન્યૂઆરીથી 31મી માર્ચ સુધીની વ્યાજમાફી યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં જે કરદાતા જાન્યૂઆરી, ફેબ્રુઆરી તથા માર્ચમાં બાકી ટેક્સ ચૂકવે તેને તે મુજબ વ્યાજમાં રાહત આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત જાન્યૂઆરી મહિનામાં 65,767 કરદાતાઓએ લાભ લઇ 61.28 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવતાં તેમને 9.62 કરોડ રૂપિયા વ્યાજમાફી પેટે પરત આપવામાં આવ્યા છે. તેમ છતાં હજારો કોમર્શિયલ મિલકત ધારકો આ યોજનાનો લાભ લઇને બાકી ટેક્સ ચૂકવતા નથી, તેથી 1લી ફેબ્રુઆરીથી એક લાખ રૂપિયા કે તેનાથી વધુ રકમનો ટેક્સ બાકી હોય તેવી કોમર્શિયલ મિલકતને સીલ મારવાની ઝુંબેશ આરંભવા માટે ટેક્સ ખાતાને સૂચના આપવામાં આવી છે.
તદઉપરાંત મ્યુનિ.ટેક્સ ખાતાના કેટલાય કર્મચારીઓ સીલ ઝુંબેશ દરમિયાન અમુક વેપારીઓ પાસેથી બાકી ટેક્સ પેટે 3-4 ચેક લઇને સીલ મારતા નથી અથવા તો સીલ ખોલી આપતાં હોય છે. જેમાં કેટલાક ચેક રિટર્ન થતાં હોવાનુ ધ્યાને આવ્યુ છે. આવા ચેક રિટર્ન થયા પછી નિયમ મુજબની કાર્યવાહી પણ કરવામાં આવતી નથી. આથી સીલ ઝુંબેશ દરમિયાન જે વેપારી પાસેથી ચેક લેવામાં આવે તે ચેક રિટર્ન થશે તો સબંધિત વોર્ડ ઇન્સ્પેક્ટર, આસી.મેનેજર અને ડે.ટેક્સ એસેસર એન્ડ ટેક્સ કલેક્ટરની જવાબદારી ફિક્સ કરવા વિચારણા હાથ ધરવામાં આવી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા ઓક્ટ્રોય નાબૂદ કરાયા બાદ મ્યુનિ.ને દર મહિને ગ્રાન્ટ આપવા ઉપરાંત વ્યવસાય વેરાની વસૂલાત કરીને તે રકમ મ્યુનિ.ના કામ માટે વાપરવાની સત્તા આપી છે. સને 2008માં વ્યવસાયવેરાની વસૂલાત સહિતની જવાબદારી મ્યુનિ.ને સોંપાઇ ત્યારે 32 હજાર જેટલાં કરદાતા નોંધાયેલા હતા અને વર્ષે 4.85 કરોડ જેટલી આવક હતી. પરંતુ મ્યુનિ.ના પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં વ્યવસાય વેરાની નોંધણી અને વેરા વસૂલાત માટે અલગ વિભાગ ઉભો કરવામાં આવ્યો તે પછી આજદિન સુધીમાં 3.83 લાખ જેટલાં કરદાતા નોંધવામાં આવ્યા છે અને વ્યવસાયવેરાની આવકને 160 કરોડ ઉપર પહોંચાડવામાં આવી છે. હજુ પણ વ્યવસાયવેરાના કરદાતા તથા આવક વધારવા માટે સીલ ઝુંબેશ કે વ્યાજમાફી જેવી યોજના લાગુ પાડવાની સત્તા મ્યુનિ. પાસે નથી તેથી વ્યવસાયવેરાને લગતી તમામ પ્રકારની વહીવટી સત્તા મ્યુનિ.ને સોંપવામાં આવે તેવી રજૂઆત રેવન્યૂ કમિટી ચેરમેન જૈનિક વકિલે રાજય સરકારના નાણાં ખાતાને કરી હતી. જેના જવાબમાં નાણાં ખાતાએ મ્યુનિ. પાસેથી કેટલીક માહિતી મંગાવી હતી, તે મુજબ મ્યુનિ.એ માહિતી પૂરી પાડી દીધી છે અને આગામી સમયમાં વ્યવસાયવેરા સબંધિત સત્તાઓ પણ મ્યુનિ. ટેક્સ ખાતાને આપવામાં આવે તેવી શક્યતા છે.