મધ્યપૂર્વ સંકટ: ઈરાને પાકિસ્તાનની મધ્યસ્થી ફગાવી, અમેરિકી પ્રતિનિધિમંડળ સાથે મળવાનો ઇનકાર
તેહરાન, 4 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાને પાકિસ્તાનના મધ્યસ્થી બનવાના પ્રયાસોને સદંતર ફગાવી દીધા છે. તેહરાને સ્પષ્ટ કર્યું છે કે તેઓ પાકિસ્તાનમાં અમેરિકાના નેતૃત્વ હેઠળના કોઈ પણ પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરશે નહીં. આ સાથે જ ઈરાને અમેરિકાની શરતોને અસ્વીકાર્ય ગણાવીને સંકટના તાત્કાલિક ઉકેલની શક્યતાઓને નકારી કાઢી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને પશ્ચિમ એશિયાના સંઘર્ષમાં મધ્યસ્થી તરીકે પોતાની જાતને રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઈરાને આ ભૂમિકાને નકારી કાઢી છે. પાકિસ્તાનનો દાવો હતો કે તે ઈરાન અને અમેરિકા બંને પક્ષો સાથે સંવાદ સ્થાપિત કરી શકે તેમ છે, પરંતુ ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના ઊંડા અવિશ્વાસને કારણે ઈરાની પક્ષે ઈસ્લામાબાદને આ પ્રક્રિયામાં કોઈ પણ સ્થાન આપવા સામે અચકાટ દર્શાવ્યો છે.
એક તરફ પાકિસ્તાનની બાદબાકી થઈ છે, ત્યારે બીજી તરફ અહેવાલો સૂચવે છે કે ઈરાન આ ક્ષેત્રના અન્ય મહત્વના દેશ ‘કતાર’ દ્વારા મધ્યસ્થીના પ્રયાસો પર વિચાર કરી શકે છે. જોકે, ઈરાને અમેરિકાની માંગણીઓને સ્પષ્ટપણે નકારી દેતા વિસ્તારમાં યુદ્ધની સ્થિતિ વધુ વણસી છે.
ઈરાની સૈન્ય અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ દાવો કર્યો છે કે તેમણે અમેરિકા-ઈઝરાયેલ વિરુદ્ધ પોતાના વળતા અભિયાનની 93મી લહેર પૂર્ણ કરી છે. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના જણાવ્યા મુજબ, ઈઝરાયેલના સૈન્ય ઠેકાણાઓ પર ચોકસાઈપૂર્વક હુમલા કરવામાં આવ્યા છે. પશ્ચિમી ગેલિલી, હાઈફા, કાફર કન્ના અને ક્રાયોટમાં ઈઝરાયેલી સૈન્યના એકત્રીકરણ કેન્દ્રો અને યુદ્ધ સપોર્ટ બેઝને નિશાન બનાવી ભારે નુકસાન પહોંચાડ્યાનો પણ દાવો કરવામાં આવ્યો છે.


